નસીબના જબ્બર બળિયા છે ગુજરાતના આ મહિલા નેતા, લોકસભા લડ્યા પહેલાં જ જીતની ગેરંટી!

Lok Sabha Election 2024: ના...ના...છતાં ટિકિટ મળી પણ હવે જીતની ગેરંટી, કટ્ટર વિરોધીએ કેસરિયો પહેર્યો. ગુજરાત ભાજપના આ મહિલા નેતાનું નસીબ કરી રહ્યુ છે ગજબ જોર.

નસીબના જબ્બર બળિયા છે ગુજરાતના આ મહિલા નેતા, લોકસભા લડ્યા પહેલાં જ જીતની ગેરંટી!

Lok Sabha Election 2024: ભાજપે 26માંથી 26 બેઠકો જીતવા માટે ચાલુ કરેલું ઓપરેશન લોટસ અટકવાનું નામ લેતું નથી અને ગુજરાતમાં કોંગ્રેસ રોજ તૂટતી જાય છે. સિંગલ ડિજિટ પર કોંગ્રેસને લાવી દેવાના પાટીલના સપનાં પૂરાં થાય તો નવાઈ નહીં. જામનગરમાં પૂનમબેન માડમના કટ્ટર હરિફ અને આહીર સમાજના અગ્રણીએ આજે કોંગ્રેસ છોડી દેતાં પૂનમ માડમ રાજીના રેડ થયા છે. હવે તેમના જીતના સમીકરણો માંડવાના શરૂ થઈ ગયા છે. કોંગ્રેસના એક સમયના લોકસભાના ઉમેદવારે પાર્ટી છોડી દીધી છે. કોંગ્રેસની માઠી દશા બેઠી છે.  જામનગરમાં કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે.

કોંગ્રેસના વધુ એક આહિર અગ્રણીએ પાર્ટી છોડી દીધી છે. આહિર અગ્રણી મૂળુભાઈ કંડોરિયા ભાજપમાં જોડાશે. ગત લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર હતા. જેઓ પૂનમબેન માડમ સામે ચૂંટણી લડયા હતા. દ્વારકા-કલ્યાણપુર પંથકના આહિર અગ્રણી એવા મૂળુ કંડોરિયા વિધાનભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે. મૂળુ કંડોરિયાના ભાજપ પ્રવેશથી પૂનમ માડમને ફાયદો થશે. મુળુભાઈ આર. કંડોરિયા એ શિક્ષિત છે. આહિર સમાજના અગ્રણી, જુદી-જુદી સામાજિક-શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રતિનિધિત્વ ધરાવે છે. જેઓએ કલ્યાણપુર, દ્વારકા, ખંભાળિયા, જામનગરમાં અગ્રણી સામાજિક કાર્યકર તરીકે સમુહ લગ્નના કાર્યક્રમો યોજ્યા છે.  

કુરિવાજો દૂર કરવામાં વિશેષ યોગદાન આપ્યું:
સામાજિક કુરિવાજો દૂર કરવામાં વિશેષ યોગદાન આપ્યું છે. જામનગર જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન અને જિલ્લા કોંગ્રેસમાં વર્ષોથી સક્રિય હોવાને લીધે વિશાળ લોકસંપર્ક ધરાવે છે. જેઓએ કોંગ્રેસને અલવિદા કરી દેતાં ભાજપને મોટો ફાયદો થયો છે. મૂળુભાઈ એ ધનપતિ હોવાની સાથે આહીર સમાજમાં દબદબો ધરાવતા હોવાથી કોંગ્રેસે પૂનમબેન માડમ સામે લોકસભા લડાવી હતી. જેમાં તેમની હાર થઈ હતી. આ સિવાય 2022માં પણ તેઓ દ્વારકા સીટ પરથી પબુભા માણેક સામે ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમની હાર થઈ હતી. આમ 2 વાર હાર છતાં કોંગ્રેસમાં એમનો દબદબો યથાવત હતો. આમ છતાં તેમને કોંગ્રેસ છોડી દેતાં ભાજપને મોટી રાહત થઈ છે. 

આજે આ નેતાઓ ભાજપમાં જોડાયાઃ
આજે અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેર ભાજપમાં જોડાઇને કેસરિયો ધારણ કરશે. ત્યારે મુળુ કંડોરીયા પણ તેમની સાથે કેસરિયો ધારણ કરી શકે છે. બીજી તરફ ભાવનગર જિલ્લામાં દિગગજ મનાતા નેતા અને પૂર્વ ધારાસભ્ય કનુ કળસરિયા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ શકે છે. તેમણે ઝી 24 કલાક સાથેની વાતચીતમાં કહ્યું છેકે, હજુ 24 કલાક રાહ જુઓ. કંઈક નવા જૂની કરશે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ પ્રદેશ પૂર્વ પ્રમુખ અને પોરબંદર કોંગ્રેસના MLA પદેથી અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપ્યુ હતુ. આ સાથે રાજુલા બેઠકના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે પણ રાજીનામું આપ્યુ છે. આ બંને નેતાઓએ જાન્યુઆરીમાં કોંગ્રેસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનુ આમંત્રણ ઠુકરાવ્યું હતું. ત્યારે પાર્ટીના નિર્ણય સામે અવાજ ઉઠાવ્યો હતો. તો ગઈકાલે નવાસરી કોંગ્રેસના ધર્મેશ પટેલે પણ કોંગ્રેસનો હાથ છોડ્યો હતો. ધર્મેશ પટેલ 2019માં નવસારીથી પાટીલની સામે લોકસભા ચૂંટણી લડી ચૂક્યા છે.  

રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પહેલાં જ થઈ નવાજૂનીઃ
ગાંધી ચાર દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે તેમાં પ્રથમ દિવસ એટલે કે 7 માર્ચે, ઝાલોદથી ગુજરાતમાં પ્રવેશ કરશે. ઝાલોદમાં જાહેર સભાને સંબોધી લીંમડી પહોંચશે જ્યાં રાત્રી રોકાણ કરશે....તો બીજા દિવસે 8 માર્ચે દાહોદ બસ સ્ટેશનથી સરદાર પટેલ સર્કલ સુધી પદયાત્રા કરશે. દાહોદથી ન્યાય યાત્રા લીમખેડા પહોંચશે. જ્યાં સ્થાનિક કાર્યકરો સાથે મુલાકાત કરશે. લીમખેડા બાદ રાહુલ ગાંધી પીપલોદ પહોંચશે, ત્યારબાદ પંચમહાલના ગોધરા પહોંચશે. જ્યાં કાર્યકરો સાથે મુલાકાત બાદ હાલોલ પહોંચશે. હાલોલમાં થોડા રોકાણ બાદ પાવાગઢ પહોંચશે...પાવાગઢમાં મહાકાળી માતાજીના દર્શન પણ કરી શકે છે. પાવાગઢથી શિવરાજપુર અને પછી જાંબુગોડા પહોંચશે. અહીં ન્યાય યાત્રાનું બોડીલી ખાતે રાત્રિ રોકાણ થશે.

કોંગ્રેસમાં આવ્યો રાજકીય ભૂકંપઃ
ત્રીજા દિવસે 9 માર્ચે બોડેલીથી યાત્રાનો પ્રારંભ થશે અને નસવાડી પહોંચશે. નસવાડીમાં કાર્યકરો સાથે મુલાકાત બાદ રાજપીપળા પહોંચશે, રાજપીપળામાં બપોરનું ભોજન લેશે. ત્યારપછી તેઓ કાલાઘોડા જશે, જ્યાં બેંક ઓફ બરોડા સર્કલ ખાતે રાહુલ ગાંધીનું સ્વાગત કરાશે. બેંક ઓફ બરોડા સર્કલથી યાત્રા નેત્રંગ પહોંચશે, જ્યાં અઢી કલાકે કોર્નર બેઠક થશે....તો ચોથા દિવસે એટલે કે 10 માર્ચે માંડવીમાં યાત્રાનું આગમન થશે. રાહુલ ગાંધી માંડવીથી બારડોલીના સ્વરાજ આશ્રમની મુલાકાત લેશે. બારડોલીથી બાજીપુરા અને બાજીપુરાથી વ્યારા પહોચશે. વ્યારા ખાતે પદયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમ અને કોર્નર બેઠક યોજાશે. વ્યારાથી ન્યાય યાત્રા સોનગઢ પહોંચશે, જે બાદ 10 માર્ચે નવાપુરાથી ન્યાય યાત્રા મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે. ગુજરાતમાં કોંગ્રેસ હાલ મૃતપાય બની રહી છે. કેમ કે કોંગ્રેસમાં હાલ એક સાંધો ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે રાહુલ ગાંધીની યાત્રા બાદ ગુજરાત કોંગ્રેસમાં કેટલા પ્રાણ ફૂંકાયા, તે તો ચૂંટણીના પરિણામ પરથી જ ખબર પડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news