કારોબારીમાં કોંગ્રેસના નેતાઓ બોલ્યા, અમારા હારવાનું કોઈ કારણ ન હતું, ચૂંટણીમાં ચોક્કસ ગોલમાલ થઈ છે

ગુજરાત કોંગ્રેસની આજે મળેલી કારોબારી બેઠકમાં ઈવીએમ અંગે ચાલી રહેલી શંકા-કુશંકા અંગે સંશોધન કરવા માટેની ચર્ચા કરાઈ. કોંગ્રેસના નેતાનો પક્ષમાં ચાલતી આંતરિક લોકશાહી અને ઉદારીકરણના કારણે પક્ષને વ્યાપક નુકસાન થયાનું સ્વીકારી શિસ્ત માટે કડક વલણ અપનાવવાનું નક્કી કર્યું છે. 

કારોબારીમાં કોંગ્રેસના નેતાઓ બોલ્યા, અમારા હારવાનું કોઈ કારણ ન હતું, ચૂંટણીમાં ચોક્કસ ગોલમાલ થઈ છે

ગૌરવ પટેલ/અમદાવાદ :ગુજરાત કોંગ્રેસની આજે મળેલી કારોબારી બેઠકમાં ઈવીએમ અંગે ચાલી રહેલી શંકા-કુશંકા અંગે સંશોધન કરવા માટેની ચર્ચા કરાઈ. કોંગ્રેસના નેતાનો પક્ષમાં ચાલતી આંતરિક લોકશાહી અને ઉદારીકરણના કારણે પક્ષને વ્યાપક નુકસાન થયાનું સ્વીકારી શિસ્ત માટે કડક વલણ અપનાવવાનું નક્કી કર્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીના નેતૃત્વને સ્વીકારી તેઓ પોતાનું રાજીનામું પાછું ખેંચે તેવો ઠરાવ કરવામાં આવ્યો.

ગુજરાતી લોકસભાની 26 બેઠકો બીજી વાર હાર્યા બાદ મળેલી પ્રથમ કારોબારીમાં હારના કારણો અંગે ચર્ચા થઈ હતી. પક્ષના હોદ્દેદારો અને ટોચના નેતાઓએ હાર તો સ્વીકારી, પણ હારની ના સ્વીકારી શક્યા અને અંતે ઈવીએમ પર હારનું ઠીકરું ફોડ્યું અને તે અંગે સંશોધન કરવાની બેઠકમાં ચર્ચા થઈ. ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કહ્યું કે, કોંગ્રેસ લોકો પાસે જવાનું ભૂલી ગઈ છે.

લોકસભાની ચૂંટણીમાં રશિયાએ દખલગીરી કરી હોવાની આશંકા ભરતસિંહ સોલંકીએ કારોબારીમાં વ્યક્ત કરી તેમણે ઉમેર્યું કે, કોંગ્રેસનું હારવાનું કોઈ કારણ ન હતું, ચૂંટણીમાં ચોક્કસ ગોલમાલ થઈ છે. કોંગ્રેસના મતભેદો આજકાલના નથી. જોકે 2020માં જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ જીતશે તેવું તેમણે કહ્યું. મીડિયાને બદલે સોશિયલ મીડિયા પર ભાર મૂકવા અંગે ટકોર કરતા ભરતસિંહે પેટા ચૂંટણીમાં લોકોના ઘરે ઘરે જઈ પ્રચાર કરવા અપીલ કરી. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, હારના કારણોની ચર્ચા કરી છે. અમે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો લોકો વચ્ચે જઈશું અને સંગઠનને મજબૂત કરીશું. ઉમેદવારો અને હોદ્દેદારો દ્વારા પરિણામો અંગે ચર્ચા કરી છે. ચૂંટણી પંચની કામગીરી અને EVM ઉપર કેટલાક ઉમેદવારોએ શંકા કરી હારના માર્જિન ઉપર શંકા કરી. સંગઠનની ઉણપ અંગે ચર્ચા કરી જે લોકોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે તેની સામે પગલાં પણ લેવાશે. 

આ કારોબારીની બેઠકમાં કુલ પાંચ ઠરાવો પસાર કરવામાં આવ્યા. રાહુલ ગાંધી એઆઇસીસીના અધ્યક્ષ તરીકે યથાવત રહે અને કાર્યકરોએ માર્ગદર્શન આપે તે અંગેનો ઠરાવ બેઠકમાં પસાર કરાયો. આજની કારોબારીમાં સુરતની ઘટનામાં જીવ ગુમાવનારા બાળકો માટે શ્રદ્ધાંજલી પણ આપવામાં આવી. સુરતમાં જે ઘટના ઘટી તેવી ઘટના રાજ્યના અન્ય જગ્યાએ ન બંને તે માટે કોગ્રેસ જનતા રેડ કરશે અને આંદોલનાત્મક ક્રાર્યક્રમ આપશે તેવો ઠરાવ પસાર કરાયો. સોનિયા ગાંધીને સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા બદલ અભિનંદન આપતો ઠરાવ પસાર કરવામાં આવ્યો. કોંગ્રેસ સરદાર પટેલ મહાત્મા ગાંધી અને જવાહર લાલ નેહરુના માર્ગે સંઘર્ષ ચાલું રાખશેનો પણ ઠરાવ પસાર કરાયો. 

અમિત ચાવડાએ કહ્યું કે, અછતની સ્થિતિ, પીવાના પાણીની સમસ્યાનું નિવારણ કરવામાં સરકાર નિષ્ફળ નીવડી છે. સમસ્યાનું નિવારણ કરવા ઠરાવ કર્યો છે. પ્રજ્ઞા ઠાકુર ગોડસેને દેશ ભક્ત કહે. ગુજરાતમાં ગોડસેને જન્મ દિવસ ઉજવાય.  ગોડસેના વિચારધારાના વાહકો ગાંધીની વિચારધારાને ખતમ કરવા નીકળ્યાં છે, જે દેશ માટે નુકસાનકારક છે. 

આમ, પાંચ ઠરાવો અને પરિણામો સામે શંકા સાથે કોંગ્રેસની કારોબારીની બેઠક આજે પૂરી થઈ હતી. પક્ષ વિરોધી પ્રવૃત્તિ સામે પગલા લેવાનો નિર્ણય કરાયો. પ્રજા વચ્ચે જઇ આંદોલન કરવાની વાત થઇ જોકે તેનું અમલીકરણ ક્યારે થશે તે યક્ષ પ્રશ્ન છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news