ગુજરાતમાં વકરતા રોગચાળાએ કેમ વધારી તંત્રની ચિંતા? જાણો કયા રોગના સૌથી વધારે ક્યા છે કેસ

અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં પણ ઋતુજન્ય રોગચાળો બેકાબૂ બન્યો છે. જેને લઈને આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે. ગુજરાતમાં રોગચાળાની કેવી છે સ્થિતિ અને રાજ્ય સરકારનું આરોગ્ય વિભાગ શું લઈ રહ્યું છે તકેદારીના પગલા?

ગુજરાતમાં વકરતા રોગચાળાએ કેમ વધારી તંત્રની ચિંતા? જાણો કયા રોગના સૌથી વધારે ક્યા છે કેસ

ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતમાં શિયાળાની ઠંડીની જેમ રોગાચાળો પણ હવે તંત્રાના કાબૂની બહાર જઈ રહ્યો છે.. જી હા, રાજ્યના મહાનગરો અને શહેરોની હોસ્પિટલમાં દર્દીઓ ઊભરાયા છે.. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં પણ ઋતુજન્ય રોગચાળો બેકાબૂ બન્યો છે. જેને લઈને આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે. ગુજરાતમાં રોગચાળાની કેવી છે સ્થિતિ અને રાજ્ય સરકારનું આરોગ્ય વિભાગ શું લઈ રહ્યું છે તકેદારીના પગલા?

મહાનગરોમાં ઊભરાયા ઋતુજન્ય રોગચાળાના દર્દીઓ.. 
સમગ્ર રાજ્યમાં ઠંડીની ઋતુએ જોર પકડ્યું છે એવામાં આરોગ્ય વિભાગની ચિંતા પણ વધી છે. મહાનગરો અને જિલ્લાઓમાં બેકાબૂ થતાં રોગચાળાને કાબૂ કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા ખાસ તકેદારીના પગલાં લેવા માટે સૂચનાઆપવામાં આવી છે.. ગાંધીનગર આરોગ્ય વિભાગ દ્વારા તમામ જિલ્લાના આરોગ્ય અધિકારી અને મેડિકલ કોલેજને પત્ર લખીને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. 

જેમાં કહેવામાં આવ્યું છેકે, સીઝનલ ફ્લૂ રોગના ફેલાવા અંગે ઝીણવટ ભરી તકેદારી રાખવી. જિલ્લાના આરોગ્ય તંત્રને રોગચાળાને પહોંચી વળવા સતર્ક રહેવાની સૂચના આપવી. દર્દીઓનું એ,બી અને સી કેટેગરી મુજબ વર્ગીકરણ કરવું. જરૂરિયાત મુજબ દર્દીઓના સેમ્પલ તપાસ અર્થે મોકલવા. દવાઓ અને મેડિકલ સામગ્રીનો પર્યાપ્ત જથ્થો રાખવો. ICUના સ્ટાફને વેન્ટીલરી અને ક્રિટિકલ કેરની તાલીમ આપવી.

વકરતા રોગચાળાને લઈને તંત્રની આ ચેતવણીનું પણ એક કારણ છે. માત્ર રાજકોટ શહેરની વાત કરીએ તો રાજકોટમાં એક સપ્તાહમાં ઋતુજન્ય રોગચાળામાં મોટો ઉછાળો આવ્યો છે. શરદી-ઉધરસ સહિત અન્ય રોગના એક સપ્તાહમાં 1752 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે.

રાજકોટ શહેરમાં રોગચાળો વકરતા સરકારી હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈન જોવા મળી રહી છે. એક તરફ ઋતુજન્ય રોગચાળો તો બીજી તરફ રક્તપિતના દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. રાજ્યમાંથી છેલ્લા 13 દિવસમાં રક્તપિતના 705 દર્દીઓ મળી આવ્યા છે અને તંત્ર દ્વારા આવા દર્દીઓને શોધવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. રોગચાળાને ડામવા તંત્ર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવે છે પરંતુ, હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news