અમદાવાદ: ગુમ થયેલા યુવાનની કરાઇ હત્યા, પરિવાર ન કરી શક્યો અંતિમ સંસ્કાર

પોલીસની ધીમી કામગીરીના કારણે ગુમ થયેલા યુવાનની લાશ ડભોડા પાસેથી મળતા ત્યાંની પોલીસે અજાણ્યો મૃતદેહ સમજીને અંતિમ સંસ્કાર કરી દીધા અને પોલીસની બેદરકારીના કારણે પરિવારજનો અંતિમ સંસ્કાર કરી શક્યા નહીં.

અમદાવાદ: ગુમ થયેલા યુવાનની કરાઇ હત્યા, પરિવાર ન કરી શક્યો અંતિમ સંસ્કાર

મૌલિક ધામેચા, અમદાવાદ: અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાંથી ગુમ થયેલા યુવાનને કેનાલમાં ફેંકી દઇને હત્યા કરાઇ હોવાનો ખુલાસો થયો છે. ડિસેમ્બર મહિનામાં ગુમ થયેલા યુવાનની પ્રેમ સંબધ અને પૈસાની લેવડ-દેવડમાં હત્યા થઇ હોવાનું સામે આવ્યું છે. યુવાન ગુમ થયા બાદ પરિવારજનો રામોલ પોલીસને જાણ કરી હતી. પરંતુ પોલીસની ધીમી કામગીરીના કારણે ગુમ થયેલા યુવાનની લાશ ડભોડા પાસેથી મળતા ત્યાંની પોલીસે અજાણ્યો મૃતદેહ સમજીને અંતિમ સંસ્કાર કરી દીધા અને પોલીસની બેદરકારીના કારણે પરિવારજનો અંતિમ સંસ્કાર કરી શક્યા નહીં.

રામદત્ત માયારામ શર્માનું એક પતિ-પત્ની અને પુત્રએ પૂર્વ કાવતરૂ ઘડીને હત્યાનો કારસો ઘડી નાખ્યો હતો. 7 ડિસેમ્બર 2018ના રોજ રામદત્ત શર્મા અને કાશ્મીરાબેન ઉર્ફે સિમાબેન મોદી બાઇક પર બહાર ફરવા ગયા હતા. જે પહેલા બંને મહેમદાબાદ ગણપતિ મંદિર ગયા અને ત્યાર બાદ ડભોડા નજીક રાયપુર કેનાલ પાસે ઉભા રહ્યાં હતા. તેવામાં કાશ્મીરાબેન મોદીએ રામદત્ત શર્માને ધક્કો મારી કેનાલમાં નાખી દીધા હતા. વાત જાણે એમ છે કે આરોપી કાશ્મીરા મોદીએ રામદત્ત શર્માને કોલ્ડ્રિક્સમાં ઘનની ગોળીઓ નાખી પીણું પીવડાવ્યું હતું. જેથી રામદત્ત શર્મા કેનાલ તરફ ગયા ત્યારે અર્ધબેભાન હાલતમાં હતો. જેથી આરોપી કાશ્મીરા મોદીએ રામદત્તને ધક્કો મારીને હત્યા નિપજાવી ફરાર થઇ ગઇ હતી. પરંતુ પોલીસે હત્યારા દંપતિની ધરપકડ કરી છે.

(મૃતક રામદતની હત્યાના ગુનામાં દંપતિની ધરપકડ)

બીજી તરફ રામદત્ત ગુમ થયા બાદ પરિવારજનો રામોલ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા અને પરિવારજનો ઝડપાયેલ દંપત્તિ પર આક્ષેપ કર્યો હતો કે રામદત્તને કાશ્મીરા મોદી નામની મહિલાએ મારી નાખ્યો હશે. પરંતુ રામેલ પોલીસ તપાસ કરી રહી હોવાનું રટણ રટી રહી હતી. તેવામાં 9મી ડિસેમ્બરના રોજ ડભોડા પાસેની કેનાલમાંથી અજાણ્યા શખ્સનો મૃતદેહ મળી આવ્યો હતો. જે મૃતદેહ ગુમ થયેલા રામદત્ત શર્માનો હતો. જો કે, ત્યાંની પોલીસે અજાણ્યા મૃતદેહની વધુ તપાસ કે કેનાલ નજીક બાઇકની શોધખોળ કરવાની તસ્દી લીધી ન હતી.

ત્યારબાદ મૃતદેહ બિનવારસી હોવાનું માની અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા. તેવામાં રામોલ પોલીસ તપાસ કરતા મૃતક રામદત્તના મોબાઇલ લોકેશન ડભોડા નજીક આવ્યું અને રામોલ પોલીસે ડભોડાથી મળી આવેલી અજાણ્યા શખ્સની લાશનો ફોટો પરિવારને બતાવતા લાશ રામદત્તની હોવાનું સામે આવ્યું હતું. પરિવારજનો મૃતદેહનું પુછતા પોલીસે મૃતદેહના અંતિમ સંસ્કાર કરી દીધા હોવાનું જણાવ્યું હતું. જેથી પરિવારજનો પોલીસની કામગીરીથી સંતુષ્ટ ન થયા. કારણ કે ગુમ થયો તે સમયે આરોપીઓના નામ જણાવ્યા હોવા છતાં પોલીસે ફરિયાદ સાંભળી ન હતી.

હાલ તો હત્યા કરનાર મહિલા કાશ્મીરા મોદી અને તેના પતિ ડિમ્પલ મોદીએ અને પુત્રએ હત્યાનું પૂર્વ કાવતરૂ ઘડ્યું હોવાનું તપાસમાં ખુલ્યું છે. હત્યારા દંપતિની પોલીસ પુછપરછમાં સામે આવ્યું કે છેલ્લા આઠ વર્ષથી મૃતક રામદત્ત શર્મા છુટક દુધનો વ્યવસાય કરતો હતો. જે દુધના પૈસાનો હિસાબ આરોપી મહિલા કાશ્મીરા મોદી અને તેના પતિ ડિમ્પલ મોદી રાખતા હતા. લાખો રૂપિયા મૃતકને ન આપવા પડે તેથી દંપતિએ હત્યાનું કાવતરૂ ઘડ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે. ત્યારે બીજી તરફ ઝડપાયેલી મહિલા કાશ્મીરાબેનનું કહેવું છે કે, છેલ્લા ત્રણ વર્ષથી મૃતક રામદત્ત સાથે પ્રેમસંબધ હતો અને શરીરસુખ માણવા માટે દબાળ કરતો હતો. જેનાથી આરોપી કાશ્મીરાબેને ઠંડા પીણામાં ઉંઘની ગોળી ખવડાવી કેનામલમાં નાખીને રામદતની હત્યા કરી નાખી હતી.

ગુમ થયેલા રામદત્તની હત્યા બાદ પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે. ગ્રામ્ય પોલીસે કેનાલ નજીક શોધખોળ કરતા રામદત્તનું બાઇક મળી આવ્યું હોત અથવા રામોલ પોલીસે ગુમ થયા બાદ ગંભીરતાથી મોબાઇલ લોકેશનના આધારે તપાસ કરી હતો તો પરિવારજનો રામદત્તનો અંતિમ સંસ્કાર કરી શક્યા હોત. હાલ રામોલ પોલીસે દંપતિની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. ત્યારે આ હત્યાનું કાવતરૂ ઘડવામાં દંપતિએ પોતાના ધોરણ-12માં અભ્યાસ કરતા પુત્રને પણ રાખ્યો હતો. આરોપીના પુત્રની પરીક્ષા હોવાના કારણે પોલીસે તેની ધરપકડ કરી નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news