આઠ-આઠ વાર માવઠા આયા, પણ સરકારે એક ફૂટી કોડી ન ચૂકવી : ગુજરાતના ખેડૂતોની વેદના

Gujarat Farmers : 8 વખત માવઠા થયા એક પણ વખત સરકારે ખેડૂતોને સહાય પેટે રકમ ન ચૂકવી... સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 3 વર્ષમાં 8 વખત માવઠા થયા... સરકારે ખેડૂતોને આંબા-આબલી દેખાડી, પણ એક પણ વખત સરકારે ખેડૂતોને સહાય પેટે રકમ ન ચૂકવી

આઠ-આઠ વાર માવઠા આયા, પણ સરકારે એક ફૂટી કોડી ન ચૂકવી : ગુજરાતના ખેડૂતોની વેદના

Gujarat Farmers On Unseasonal Rain મયુર સાંધી/સુરેન્દ્રનગર : માવઠાથી થયેલ નુકસાનનું વળતર ના મળતા ગુજરાતના ખેડૂતો રોષે ભરાયા છે. સુરેન્દ્રનગરના ખેડૂતોએ તાત્કાલિક વળતર ચૂકવવા સરકાર સામે માંગ કરી છે. 3 વર્ષમાં 8 વખત માવઠું થયું પણ વળતર ના મળ્યાના આક્ષેપ ખેડૂતોએ કર્યો. ખેડૂતોએ કહ્યું કે, ચાલુ વર્ષે માવઠાથી પાકને ભારે નુકસાન થયું છે. સરકાર આશ્વાસન આપે છે પણ વળતર નથી આપતું. નુકસાની અંગે યોગ્ય રીતે સર્વે પણ નથી કરાતો. તાત્કાલિક ખેડૂતોને વળતરના રૂપિયા મળવા જોઈએ.

સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને છેલ્લા 3 વર્ષથી માવઠાનો માર સહન કરવો પડી રહ્યો છે, ત્યારે ખાસ કરીને જિલ્લામાં ખેડૂતોની આર્થિક કમર માવઠાઓએ છેલ્લા 3 વર્ષમાં તોડી નાંખી છે. ત્યારે આ વર્ષે પણ સતત માવઠાના પગલે ખેડૂતોના ઉત્પાદનને વ્યાપક નુકસાન છે. જેમાં જીરું, વરિયાળી, એરંડા, કપાસ, ઇસબગુલ, ડુંગળી જેવા પાકોને નુકસાન થયું છે. ત્યારે સરકાર દ્વારા માવઠાના પગલે સર્વે કરી અને ખેડૂતો જે મુખ્યમંત્રી પાક વીમા યોજના અંતર્ગત સહાય ચૂકવાની જાહેરાત તો કરાઈ છે, પણ જિલ્લામાં માવઠાથી ખેતી નુકસાનનો સર્વે પણ યોગ્ય રીતે નથી કરાતો અને સહાય પણ ચૂકવવામાં ન આવતી હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે.

સુરેન્દ્રનગરના દૂધઈ ગામના ખેડૂત ગણપતભાઈ પટેલ જણાવે છે કે, સરકાર ખેડૂતોને માવઠા બાદ માત્ર આશ્વાસન આપતી રહે છે, પણ સહાય ક્યારે આપશે તે પણ સવાલ થઈ રહ્યો છે. ખેડૂતોને સરકાર માવઠા બાદ સહાય આપવા અંગે આંબા-આબલી દેખાડે છે, પણ સહાયનો રૂપિયો પણ છેલ્લા 3 વર્ષમાં ખેડૂતોના ખાતામાં જમા નથી થયો. જેને લઈ જિલ્લાના ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ કફોડી બની છે. ત્યારે ચાલુ વર્ષે પણ માવઠાના પગલે જિલ્લામાં ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન છે. ત્યારે ખેડૂતોને મોઢામાં આવેલ કોળિયો માવઠાએ છીનવી લીધો છે, ત્યારે સહાય મામલે હવે જિલ્લાના ધારાસભ્ય પણ મુખ્યમંત્રીને પત્ર લખી રહ્યા છે. હવે સરકાર ખેડૂતોને પાક નુકસાન અંગે સર્વે કરી ક્યારે સહાય ચૂકવશે તે સવાલ જિલ્લાના ખેડૂતો સરકાર સમક્ષ કરી રહ્યા છે.

મહત્વનું છે કે સૌરાષ્ટ્રમાં છેલ્લાં અનેક દિવસોથી અમરેલી, રાજકોટ, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ધરતીપુત્રોને પારાવાર નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. તૈયાર પાક સમયે માવઠાના કારણે હાથમાં આવેલો કોળિયો છીનવાઈ જતાં ખેડૂતો રાતા પાણીએ રડી રહ્યા છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news