એક સમયે ચા વેચતો આસુમલ કેવી રીતે બની ગયો "બાપુ આસારામ", જાણી લો પાખંડીનો ભૂતકાળ

આજે આસારામને આજીવન કેદની સજા થઈ છે. પાખંડી ધર્મગુરુ આસારામને આજે સજા પડી છે. આ મામલે કોર્ટે આસારામ સિવાયના તમામ અન્ય આરોપીઓને નિર્દોષ છોડ્યા છે. જાણી લો શું છે સમગ્ર મામલો, અને આસારામ સામે ક્યાં થઈ હતી ફરિયાદ.

એક સમયે ચા વેચતો આસુમલ કેવી રીતે બની ગયો "બાપુ આસારામ", જાણી લો પાખંડીનો ભૂતકાળ

ઝી બ્યુરો/અમદાવાદ: યોન શોષણના કેસમાં પાખંડી ધર્મગુરુની મુશ્કેલીમાં વધારો થયો છે. 2013ના દુષ્કર્મના કેસમાં ગાંધીનગર સેશન્સ કોર્ટે પાખંડી આસારામને દોષિત જાહેર કર્યો છે. આજે આસારામને આજીવન કેદની સજા થઈ છે. પાખંડી ધર્મગુરુ આસારામને આજે સજા પડી છે. આ મામલે કોર્ટે આસારામ સિવાયના તમામ અન્ય આરોપીઓને નિર્દોષ છોડ્યા છે. જાણી લો શું છે સમગ્ર મામલો, અને આસારામ સામે ક્યાં થઈ હતી ફરિયાદ. જુઓ આ ખાસ અહેવાલમાં...

જાતે બની બેઠેલા પાખંડીના પાપનો ઘડો આખરે ફૂટી ગયો છે. ગાંધીનગરની સેશન્સ કોર્ટે 2013ના દુષ્કર્મના કેસમાં આરોપી આસારામ ઉર્ફે આસુમલને દોષિત જાહેર કર્યો છે.. જ્યારે અન્ય 6 આરોપીઓની નિર્દોષ જાહેર કરાયા છે.. આસારામને કોર્ટે કલમ 376 2C, 377 , 357, 342, 354, 506 હેઠળ દોષિત જાહેર કર્યો છે. 

શું છે સમગ્ર મામલો?
1997થી 2006 વચ્ચે બે બહેનો મોટેરા આશ્રમમાં રહેતી હતી. 2001માં આસારામે દુષ્કર્મ આચર્યા હોવાની ફરિયાદ થઈ હતી. 6 ઓક્ટોબર, 2013ના રોજ આસારામ સામે ફરિયાદ નોંધાઈ હતી. દુષ્કર્મ કેસમાં સરકાર વતી 55 સાક્ષીઓ ચકાસવામાં આવ્યા હતા. તમામ સાક્ષીઓના નિવેદનમાં વિરોધાભાસ જોવા મળ્યો હતો. ઘટનામાં કુલ 8 જેટલા આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો. 8 આરોપીમાંથી એકને સાક્ષી બનાવાયો હતો અને 7 આરોપીઓ સામે પોલીસે ચાર્જશીટ દાખલ કરી હતી.

આરોપી સામે બળાત્કારની કલમ 376 (B),સૃષ્ટિવિરુદ્ધનું કૃત્યની કલમ 377, હુમલો કરવા મામલે કલમ 357, 342, માર મારવા મામલે કલમ 323, બળજબરીપૂર્વક ગોંધી રાખવા બાબતે કલમ 346, અને કલમ 354,120B, 201 હેઠળ ફરિયાદ થઈ હતી.  9 વર્ષ સુધી લાંબી દલીલો બાદ ગાંધીનગર સેશન્સ કોર્ટના એડિશનલ જજ બી.કે.સોનીએ આસારામને દોષિત જાહેર કર્યા હતા. જ્યારે આસારામની પત્ની લક્ષ્મી, દીકરી ભારતી અને 4 અનુયાયીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસમાં આજે આસારામને આજીવન કેદની સજા પડી છે. મહત્વનું છે કે, આસારામનો જન્મ 17 એપ્રિલ 1941ના રોજ પાકિસ્તાનના સિંધ પ્રાંતના વિરાની ગામમાં થયો હતો. આસારામનો પરિવાર ભાગલા બાદ 1947માં ભારત આવીને અમદાવાદમાં વસ્યો હતો.

કોણ છે આસારામ બાપુ?
આસારામનું મૂળ નામ અસુમલ થાઉમલ હરપલાણી છે. પાખંડી આસારામે ત્રીજા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. આસારામના પિતાનો મૂળ ધંધો લાકડા અને કોલસાનો હતો. પાકિસ્તાનથી આવીને પિતાએ ખાંડનો ધંધો શરૂ કર્યો હતો. પિતાના મોત બાદ આસારામ પર ઘરની જવાબદારી આવતાં અધવચ્ચે અભ્યાસ છોડીને પિતાનો ધંધો સંભાળ્યો હતો. મેજિસ્ટ્રેટ ઓફિસ બહાર આસારામ ચા વેચતો હતો. 15 વર્ષની ઉમરે લીલાશાહ નામના સંત પાસેથી દીક્ષા લીધી હતી. દીક્ષા લીધા બાદ અસુમલનને આસારામ બાપુ નામ મળ્યું હતું. પરિવારે લક્ષ્મીદેવી સાથે આસારામના લગ્ન કરાવ્યા હતા. નારાયણ સાઈ અને ભારતીદેવી નામના બે સંતાન છે.

દીક્ષા લીધા બાદ આસારામની કિસ્મત ચમકી ઉઠી હતી. તેના હજારો સમર્થકો બની ગયા હતા. અનુયાયીઓની સાથે આસારામની સંપત્તિ પણ વધતી ગઈ હતી. આસારામમાં સતસંગમાં હજારો અનુયાયીઓ ઉમટતા હતા. જોકે પોતાની લોકપ્રિયતાનો ઉપયોગ આસારામ અને નારાયણ સાઈએ ખોટા રસ્તા પર કર્યો હતો અને તેણે સંતનું નામ લજવી દીધુ. 

કહેવાય છે કે, પાપનો ઘડો એક દિવસ ફૂટે છે જરૂર અને આસારામ સાથે પણ કંઈક એવું જ થયુ છે.  હાલમાં તો આસારામ જોધપુરની જેલમાં બંધ છે ત્યારે ગાંધીનગરના કેસમાં પણ આસારામને દોષિત જાહેર કરાયો છે અને આજે આજીવન કેદની સજા ફટકારી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news