રામ મંદિરના આમંત્રણનો અસ્વીકાર કોંગ્રેસને ક્યાં નડશે, ક્યાં ફળશે? કયાં કારણો આપીને નકાર્યું!

22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાવાનો છે, ત્યારે આ માટે પ્રધાનમંત્રી સહિત અનેક લોકોને આમંત્રણ અપાયું છે, જેમાં વિપક્ષના નેતાઓ પણ સામેલ છે. અત્યાર સુધી વિપક્ષના કોઈ પક્ષે આમંત્રણના સ્વીકાર કે અસ્વીકાર અંગે ઔપચારિક રીતે ફોડ પાડ્યો નહતો.

રામ મંદિરના આમંત્રણનો અસ્વીકાર કોંગ્રેસને ક્યાં નડશે, ક્યાં ફળશે? કયાં કારણો આપીને નકાર્યું!

ઝી બ્યુરો/નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી જેની અટકળો ચાલી રહી હતી, તે વાત હવે જાહેર થઈ ગઈ છે. કોંગ્રેસે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ માટેના આમંત્રણનો અસ્વીકાર કરી દીધો છે. કોંગ્રેસે આ માટે સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને કોંગ્રેસે ભાજપ અને આરએસએસનો ચૂંટણીલક્ષી કાર્યક્રમ ગણાવીને રાજકારણમાં ભડકો કર્યો છે. તો બીજી તરફ ભાજપને ભાવતું મળી જતાં રાજકીય ઘમાસાણ શરૂ થઈ ગયું છે. જે લોકસભાની ચૂંટણી સુધી યથાવત્ રહેશે.

22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાવાનો છે, ત્યારે આ માટે પ્રધાનમંત્રી સહિત અનેક લોકોને આમંત્રણ અપાયું છે, જેમાં વિપક્ષના નેતાઓ પણ સામેલ છે. અત્યાર સુધી વિપક્ષના કોઈ પક્ષે આમંત્રણના સ્વીકાર કે અસ્વીકાર અંગે ઔપચારિક રીતે ફોડ પાડ્યો નહતો. જો કે હવે કોંગ્રેસે તેની શરૂઆત કરી દીધી છે. કોંગ્રેસે એક નિવેદન જાહેર કરીને પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ માટેના આમંત્રણનો અસ્વીકાર કર્યો છે. 

કોંગ્રેસનું માનીએ તો ડિસેમ્બરમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી તેમજ લોકસભામાં કોંગ્રેસના સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરીને રામ મંદિરના ઉદ્ધાટનનું આમંત્રણ આપવામાં આવ્યું હતું..જેનો સમ્માનપૂર્વક અસ્વીકાર કરવામાં આવ્યો છે. એટલે કે કોંગ્રેસમાંથી કોઈ પણ આમંત્રિત કાર્યક્રમમાં નહીં જાય. કોંગ્રેસે આમંત્રણનો અસ્વીકાર કરવા માટેના કારણો પણ પોતાના નિવેદનમાં રજૂ કર્યા છે. જેમાં ભાજપ અને આરએસએસ પર રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને ચૂંટણીલક્ષી મુદ્દો બનાવવાનો આક્ષેપ કર્યો છે. 

કોંગ્રેસ સાંસદ અને મહાસચિવ જયરામ રમેશે નિવેદનમાં લખ્યું છે કે, ભગવાન રામની પૂજા અર્ચના કરોડો ભારતીય કરે છે. ધર્મ વ્યક્તિનો વ્યક્તિગત વિષય હોય છે, પણ ભાજપ અને આરએસએસે વર્ષોથી અયોધ્યામાં રામ મંદિરને એક રાજકીય પરિયોજના બનાવી દીધી છે. એ વાત સ્પષ્ટ છે કે એક અર્ધનિર્મિત મંદિરનું ઉદ્ધાટન ફક્ત ચૂંટણીને લગતો લાભ લેવા કરવામાં આવી રહ્યું છે. 2019ના સર્વોચ્ચ અદાલતના ચુકાદાનો સ્વીકાર કરતા અને લોકોની આસ્થાના સમ્માનમાં મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને અધીર રંજન ચૌધરી ભાજપ અને RSSના આ આયોજનના આમંત્રણનો સમ્માન સાથે અસ્વીકાર કરે છે.

કોંગ્રેસે ભાજપ અને આરએસએસ પર સીધો પ્રહાર કરતા ભાજપે તેની સામે વાંધો ઉઠાવ્યો છે. ભાજપે કોંગ્રેસ પર જ ધર્મના મુદ્દે રાજકારણ કરવાનો આક્ષેપ કર્યો છે. ભાજપને રામ મંદિર નિર્માણના આંદોલનમાં કોંગ્રેસની ભૂમિકા પર પ્રહાર કરવાની પણ નવેસરથી તક મળી ગઈ છે. પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમના આમંત્રણનો અસ્વીકાર કરીને કોંગ્રેસ ઘેરાઈ ગઈ છે. ભાજપની સાથે સાધુસંતોએ પણ કોંગ્રેસના આ વલણ સામે વિરોધ નોંધાવ્યો છે. વાત હવે સનાતનના વિરોધ સુધી પહોંચી ગઈ છે...

એક તરફ જ્યાં ભાજપ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં વ્યસ્ત છે, તો બીજી તરફ કોંગ્રેસ પોતાની ભારત જોડો ન્યાય યાત્રાના આયોજનમાં લાગી છે. કોંગ્રેસ 14મી જાન્યુઆરીએ મણિપુરના પાટનગર ઈમ્ફાલથી આ યાત્રા શરૂ કરવા મક્કમ છે, જો કે ઈચ્છિત સ્થળે કાર્યક્રમ માટે મણિપુર સરકારે મંજૂરી નથી આપી. આ મામલે ભાજપે કોંગ્રેસને ઘેરી છે.

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણનો કોંગ્રેસે કરેલો અસ્વીકાર અને તેની યાત્રા હવે લોકસભાની ચૂંટણીના સૌથી મોટા મુદ્દા બની ચૂક્યા છે. કોંગ્રેસે સામે ચાલીને ભાજપને રાજકીય હથિયાર પૂરું પાડ્યું છે. ત્યારે હવે જોવું એ રહેશે કે આ મામલે વિપક્ષી ગઠબંધનના અન્ય પક્ષો શું વલણ અપનાવે છે. મહત્વનું છે કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ, વિશ્વ હિંદુ પરિષદ અને આરએસએસના પદાધિકારીઓએ આમંત્રિતોની યાદી તૈયાર કરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news