NCB અધિકારી સમીર વાનખેડે પર નવાબ મલિકની નવી ટ્વીટ, શેર કર્યું 'નિકાહનામું' અને લગ્નની તસવીર

મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને એનસીપી નેતા નવાબ મલિક સતત નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) ના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પર નવા નવા આરોપ લગાવી રહ્યા છે.

NCB અધિકારી સમીર વાનખેડે પર નવાબ મલિકની નવી ટ્વીટ, શેર કર્યું 'નિકાહનામું' અને લગ્નની તસવીર

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને એનસીપી નેતા નવાબ મલિક સતત નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) ના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પર નવા નવા આરોપ લગાવી રહ્યા છે. હવે નવાબ મલિકે સમીર વાનખેડેના પહેલા લગ્નનો ફોટો શેર કર્યો છે અને આરોપ લગાવ્યો છે કે તેમણે વર્ષ 2006માં ઈસ્લામ ધર્મ પ્રમાણે નિકાહ કર્યા હતા. નવાબ મલિકે એક બાદ એક અનેક ટ્વીટ કરી. 

નિકાહમાં અદા કરાઈ હતી 33 હજાર રૂપિયાની મેહર-મલિક
પોતાની પહેલી ટ્વીટમાં નવાબ મલિકે લખ્યું કે 7 ડિસેમ્બર 2006ના ગુરુવારના રોજ રાતે 8 વાગે સમીર દાઉદ વાનખેડે (Sameer Wankhede) અને શબાના કુરેશી વચ્ચે નિકાહ થયો હતો. આ નિકાહ મુંબઈના અંધેરી (વેસ્ટ) ના લોખંડવાલા કોમ્પલેક્સમાં થયો હતો. બીજી ટ્વીટમાં તેમણે લખ્યું કે નિકાહમાં 33 હજાર રૂપિયા મેહર તરીકે અદા કરાયા હતા. જેમાં સાક્ષી નંબર 2 અઝીઝ ખાન હતા. જે સમીર દાઉદ વાનખેડેની મોટી બહેન યાસમીન દાઉદ વાનખેડેના પતિ છે. 

— Nawab Malik نواب ملک नवाब मलिक (@nawabmalikncp) October 27, 2021

નવાબ મલિકે શેર કર્યું નિકાહનામું
આ સાથે જ નવાબ મલિકે પોતાની ત્રીજી ટ્વીટમાં એક ફોટો કર્યો અને દાવો કર્યો કે તે સમીર વાનખેડે અને શબાના કુરેશીના નિકાહની તસવીર છે. તેમણે ફોટા સાથે લખ્યું કે પ્યારી જોડીની તસવીર. સમીર દાઉદ વાનખેડે અને ડો.શબાના કુરેશી. આ સાથે જ તેમણે એક મેરેજ સર્ટિફિકેટ પણ શેર કર્યું અને દાવો કર્યો કે સમીર વાનખેડેનું નિકાહનામું છે. તેમણે લખ્યું કે 'આ છે ડો.શબાના કુરેશી સાથે 'સમીર દાઉદ વાનખેડે'ના પહેલા  લગ્નનું નિકાહનામું.'

— Nawab Malik نواب ملک नवाब मलिक (@nawabmalikncp) October 27, 2021

સમીર વાનખેડેએ સ્વીકારી હતી શબાના કુરેશી સાથે લગ્નની વાત
આ અગાઉ સમીર વાનખેડેએ શબાના કુરેશી સાથે લગ્નની વાત સ્વીકારી હતી અને જણાવ્યું હતું કે વર્ષ 2016માં બંનેએ પરસ્પર સહમતિથી તલાક લીધા હતા. નવાબ મલિકના આરોપો પર જવાબ આપતા પ્રેસ રિલીઝ બહાર પાડી આ વાતની જાણકારી આપી હતી. સમીર વાનખેડેએ એવું પણ જણાવ્યું હતું કે તેમણે વર્ષ 2017ના અંતમાં ક્રાંતિ રેડકર સાથે લગ્ન કર્યા હતા. 

— Nawab Malik نواب ملک नवाब मलिक (@nawabmalikncp) October 27, 2021

નવાબ મલિકે સમીર વાનખેડે પર લગાવ્યા છે આ 26 આરોપ
આ અગાઉ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા નવાબ મલિકે ટ્વીટ કરીને એક નવો લેટર શેર કર્યો અને દાવો કર્યો કે એનસીબીના એક અધિકારીએ તેમને આ પત્ર આપ્યો છે. તેમણે સમીર વાનખેડે અને તેમની ટીમ પર 26 આરોપ લગાવ્યા છે. લેટર શેર કરતા નવાબ મલિકે કહ્યું કે એક જવાબદાર નાગરિક તરીકે હું આ પત્ર ડીજી નાર્કોટિક્સને ફોરવર્ડ કરી રહ્યો છું અને તેમને  ભલામણ કરું છું કે આ પત્રને સમીર વાનખેડે પર થઈ રહેલી તપાસમાં સામેલ કરવામાં આવે.  લેટરમાં દાવો કરાયો છે કે સમીર વાનખેડે અને તેમની ટીમે લોકોના ઘરોમાં તલાશી દરમિયાન ડ્રગ્સ રાખીને ખોટા કેસ બનાવ્યા. 

નકલી સર્ટિફિકેટ પર સમીરે નોકરી મેળવી
નવાબ મલિકે આરોપ લગાવ્યો છે કે સમીર વાનખેડેએ નકલી સર્ટિફિકેટના આધારે નોકરી મેળવી છે અને કોઈ દલિતનો હક છીનવ્યો છે. અમે તે દલિતને તેનો અધિકાર અપાવીને રહીશું. પ્રેસ કોન્ફરન્સમાં નવાબ મલિકે કહ્યું કે નકલી દસ્તાવેજ બનાવીને કોઈ વ્યક્તિ શિડ્યૂલ કાસ્ટના કોટામાં જો નોકરી મેળવે અને કોઈ ગરીબનો હક મારવામાં આવી રહ્યો છે તો આ લડાઈને લઈને આગળ વધવું પડશે. 

— Nawab Malik نواب ملک नवाब मलिक (@nawabmalikncp) October 26, 2021

તેમણે વધુમાં કહ્યું કે મુંબઈમાં કોઈ પણ વ્યક્તિનું બર્થ સર્ટિફિકેટ ઓનલાઈન સર્ચ કરી શકાય છે. સમીર વાનખેડેની બહેન યાસ્મીનનું બર્થ સર્ટિફિકેટ પણ ઓનલાઈન અવેલેબલ છે. પરંતુ સમીર વાનખેડેનું નથી. અમે ખુબ સર્ચ કર્યું પરંતુ મળ્યું નહીં. શિડ્યૂલ કાસ્ટ સર્ટિફિકેટ વેલિડિટી કમિટી પાસે આ મામલો લઈ જઈને તેની તપાસ થવી જોઈએ. હું પહેલા દિવસથી કહુ છું કે એનસીબીમાં વસૂલી થઈ છે. માલદીવમાં પણ વસૂલી થઈ છે. મોટા પાયે પૈસા બનાવવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news