કોરીયા અને ગુજરાત વચ્ચે થયા એમઓયુ, વેપાર અને ઔદ્યોગિક ક્ષેત્રે સંબંધો બનશે મજબૂત

કોરીયા અને ગુજરાત વચ્ચે વેપાર અને ઔદ્યોગિક ક્ષેત્રે સંબંધો વધુ મજબૂત બનાવવા ગુજરાત સરકારે નકકર પગલું ભરીને કોરિયા ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સી (KOTRA-કોટ્રા) સાથે એમ.ઓ.યુ. કર્યા છે.

કોરીયા અને ગુજરાત વચ્ચે  થયા એમઓયુ, વેપાર અને ઔદ્યોગિક ક્ષેત્રે સંબંધો બનશે મજબૂત

ગાંધીનગર: કોરીયા અને ગુજરાત વચ્ચે વેપાર અને ઔદ્યોગિક ક્ષેત્રે સંબંધો વધુ મજબૂત બનાવવા ગુજરાત સરકારે નકકર પગલું ભરીને કોરિયા ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સી (KOTRA-કોટ્રા) સાથે એમ.ઓ.યુ. કર્યા છે. નવી દિલ્હી ખાતે રાજ્ય સરકારના ઓદ્યોગિક અને ખાણ ખનીજ વિભાગ દ્વારા કોટ્રા સાથે કેમિકલ, પેટ્રોકેમિકલ, ફાર્માસ્યુટિકલ્સ, નવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જા, સ્ટાર્ટ અપ ઈકો-સિસ્ટમ, ટેક્સટાઈલ અને એપરલ્સ, શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ફૂડ પ્રોસેસિંગ, એગ્રો સંબંધિત ઉદ્યોગો, કૌશલ્ય વિકાસ અને તાલીમ, ઓટોમોબાઈલ ક્ષેત્રે સમજૂતી જેવા મહત્વનાં ક્ષેત્રો પર આ એમઓયુમાં ધ્યાન કેન્દ્રિત કરાશે.

ઉલ્લેખનીય છે કે, કોટ્રાએ રિપબ્લિક ઑફ કોરિયાની સરકાર દ્વારા સંચાલિત નેશનલ ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન સંસ્થા છે. ગુજરાત સરકાર વતી ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગના અગ્ર સચિવ એમ.કે.દાસ અને કોટ્રા વતી ડૉ. કવોન પ્યુંગ (Dr. Kwon, Pyung) દ્વારા એમઓયુ સાઈન કરવામાં આવ્યા હતા.  કોરીયા અને ગુજરાત વચ્ચે વેપાર અને ઔદ્યોગિક રોકાણના સંબંધોને વધુ આગળ ધપાવવા અને મજબુત કરવા તથા બંન્ને વચ્ચે સહકારની ભાવનાને વધુ મજબૂત બનાવવા માટે આ એમઓયુ કરવામાં આવ્યા છે. ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ અને કોટ્રા બંન્ને સાથે મળીને એકબીજાના પ્રતિનિધિ મંડળને સહયોગ પૂરો પાડશે. કોટ્રા આગામી ૧૮ થી ૨૦ જાન્યુઆરી ૨૦૧૯ દરમિયાન યોજાનાર વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ – ૨૦૧૯માં ભાગ લેશે.

વિદેશી રોકાણ માટે ગુજરાત અગ્રણી રાજ્ય બન્યું છે. ગુજરાત હંમેશાં દ્વિ-પક્ષીય વેપાર સંબંધોમાં મહત્વનું  યોગદાન આપે છે. વર્ષ ૨૦૧૭-૧૮માં ગજરાતમાંથી દક્ષિણ કોરિયામાં આશરે ૧ બિલિયન ડોલર જેટલી નિકાસ કરવામાં આવી હતી. જે દેશની કુલ નિકાસનો લગભગ ૨૫% જેટલો હિસ્સો છે. વર્તમાન સમયમાં  દક્ષિણ કોરિયાની ટેક્સટાઈલ અને કેમિકલ્સ ઉત્પાદન કરતી કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરવા માટે વિશેષ રસ ધરાવે છે.

ગુજરાત અને દક્ષિણ કોરિયા વચ્ચે ખાસ કરીને વેપાર અને આર્થિક સહકારની સુવિધા માટે કોટ્રા દ્વારા અમદાવાદમાં એક ઓફિસ શરૂ કરવામાં આવશે. હાલમાં નવી દિલ્હી, મુંબઈ, ચેન્નઇ, કોલકત્તા અને બેંગલુરુમાં કોટ્રાની ઓફિસો કાર્યરત છે. વેપાર અને રોકાણ કરવા માટે ગુજરાત એ ભારતનું શ્રેષ્ઠ રાજય છે, આથી આગામી સમયમાં યોજાનાર વાઈબ્રન્ટ ગુજરાતના પ્રમોશન માટે ગુજરાતનું ડેલિગેશન દક્ષિણ કોરિયાની મુલાકાત લઈ, ગુજરાતમાં વધુ રોકાણ કરવા પ્રોત્સાહિત કરી આમંત્રણ આપશે. એમઓયુના પરિણામ સ્વરૂપે બંન્ને પ્રદેશો વચ્ચે સંબંધોને નવી દિશા પ્રાપ્ત થશે તેમજ સામાજિક-આર્થિક વિકાસના ક્ષેત્રોમાં એકબીજાને વધારે નજીક લાવવા સફળતા મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news