દાંતીવાડાની શાળામાં રેગિંગ, ધોરણ-12ના વિદ્યાર્થીઓ ધોરણ-9ના વિદ્યાર્થીઓને કપડા ધોવડાવતા

દાંતીવાડાની શાળામાં રેગિંગ, ધોરણ-12ના વિદ્યાર્થીઓ ધોરણ-9ના વિદ્યાર્થીઓને કપડા ધોવડાવતા
  • દાંતીવાડા નવોદય વિદ્યાલયમાં રેગિંગ કરાયું, 6 છાત્રોને હાંકી કઢાયા
  • જુનિયર્સ સાથે મારપીટ કરી જબરદસ્તી કપડાં ધોવડાવતા અને સફાઈ કરાવતા હતા

અલ્કેશ રાવ/બનાસકાંઠા :રેગિંગ પર રોક છતા અનેક શાળા અને કોલેજમાં ક્યાંક ને ક્યાંક રેગિંગ કરાતુ હોય છે. રેગિંગ જ્યારે સહનશક્તિની હદ વટાવી જાય ત્યારે વિદ્યાર્થીઓ ફરિયાદ કરે છે. ત્યારે દાંતીવાડાની જવાહર નવોદય વિદ્યાલયના ધો.12ના 6 છાત્રોએ રેગીંગ કરતા પ્રિન્સિપાલે 6 સામે કાર્યવાહી કરીને ઘરે મોકલી દીધા છે. હોસ્ટેલમાં તેઓ જુનિયર છાત્રોની પજવણી કરતા હતા, આ અંગેની જાણ વાલીઓને થતા ધો. 9 - 10 વાલીઓએ હોસ્ટેલમાં જઈને હંગામો મચાવ્યો હતો. ત્યારે આચાર્યએ 6 છાત્રો સામે કાર્યવાહી કરી મામલો દબાવી દેવાની પ્રયાસ કર્યો હતો.

દાંતીવાડા નવોદય કેન્દ્રીય વિદ્યાલય અનેક વાર વિવાદમાં સપડાઈ છે. અગાઉ મેસમાં બાળકોને ભોજનમાં ગેરરીતિ મામલે ત્રણ રસોયાની તાત્કાલિક અસરથી બદલી કરાઈ હતી. ત્યારે નવા વિવાદમાં દાંતીવાડા નવોદય સ્કૂલમાં કેટલાક સિનિયર વિદ્યાર્થીઓએ અહીં હોસ્ટેલમાં રહેતાં જુનિયર વિદ્યાર્થીઓ સાથે મારપીટ કરી તેઓ પાસે બળજબરી પૂર્વક કામ કરાવતા હતા. તેમની પાસેથી કપડા ધોવા તેમજ સફાઈ કરી રેંગિંગ કરતા હોવાનો ચોંકાવનારો ઘટોસ્ફોટ થયો છે.

નવોદય કેમ્પસમાંથી પીડિત બાળકો અને તેમનાં વાલીઓમાંથી મળેલી માહિતી અનુસાર, આ કેમ્પસમાં હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા ધોરણ 9 અને 10ના બાળકોને આજ હોસ્ટેલમાં ભણતાં ધોરણ 11અને 12ના સિનિયર છાત્રો દ્વારા પજવણી કરાતી હતી. તેઓ પાસે કપડાં અને સફાઈ કરાવાતા હતા અને તેમનાં ફરમાન ના માનનારાઓને માર મરાતો હોવાની ચોંકાવનારી વિગતો મળી છે. એટલું જ નહિ, પીડિત છાત્રોએ પ્રિન્સીપાલને વારંવાર રજૂઆતો કરવાં છતાં પ્રિન્સિપાલે મામલો પોતાના સુધી સીમિત રાખી ઢાંકપિછોડો કરવાનો પ્રયત્ન કર્યાની હકીકત મળતાં, વાલીઓ દાંતીવાડા જવાહર નવોદય વિદ્યાલય પહોંચ્યા હતા. ભારે વિવાદ બાદ મોડે મોડે છ છાત્રોને હોસ્ટેલમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.

એક વાલીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, ‘આ સંગીન અપરાધી મામલો હોઈ જિલ્લા કલેક્ટર યોગ્ય તપાસ અધિકારી અથવા કમિટી રચાશે. ધોરણ 9અને10 ના પીડિત બાળકોના નિવેદન લેવાશે. ત્યાર બાદ વધુ ચોંકાવનારા ખુલાસા થશે. તો બીજી તરફ આ ઘટના બાબતે દાંતીવાડા નવોદય પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે, કોરોના સમય હોઈ લાંબા સમય બાદ અભ્યાસ શરૂ થયો છે. બાળકો વચ્ચે કોઈ મોટો વિવાદ નથી. તેમ જણાવી ગલ્લા તલ્લા કર્યા હતા. જોકે 6 છાત્રો સામે પગલાં અંગે કોઈ વ્યાજબી સ્પષ્ટતા કરી ન હતી. પરંતુ આ બનાવે ચકચાર જગાવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news