કેન્દ્રીય કૃષિ અને પંચાયત રાજ્યમંત્રી પુરુષોત્તમ રૂપાલાનો વધુ એક બફાટ

ચૂંટણી ઢંઢેરામાં જે લખવું હોય તે લખી શકાય છે, વલસાડના સરીગામમાં રાજકીય પાર્ટીઓના ચૂંટણી ઢંઢેરા અંગે આપ્યું વિવાદાસ્પદ નિવેદન

કેન્દ્રીય કૃષિ અને પંચાયત રાજ્યમંત્રી પુરુષોત્તમ રૂપાલાનો વધુ એક બફાટ

વલસાડઃ કેન્દ્રીય પંચાયત, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી પુરુષોત્તમ રૂપાલા વિવાદાસ્પદ નિવેદન કરવા માટે જાણીતા છે. છેલ્લા બે ત્રણ દિવસથી ગુજરાતના પ્રવાસે આવેલા પુરુષોત્તમ રૂપાલાએ શુક્રવારે પણ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. હવે શનિવારે વલસાડના સરીગામમાં એક કાર્યક્રમમાં રાજકીય પક્ષોના ચૂંટણી ઢંઢેરા અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. 

પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું કે, "ચૂંટણી ઢંઢેરામાં જે લખવું હોય તે લખી શકાય છે. લોકો બે માર્ગીય રસ્તો માગે તો ઢંઢેરામાં છ માર્ગીય રસ્તો લખાય છે. પ્રજાએ જો ડામરનો રસ્તો માગ્યો હોય તો આસફાલ્ટનો રસ્તો લખવામાં આવે છે."

રૂપાલાએ વધુમાં જણાવ્યું કે, "ચૂંટણી ઢંઢેરામાં માગ્યું ના હોય તેવું લખવાની પણ છૂટ હોય છે. કારણ કે, લખ્યા પછી કોઈ યાદ રાખતું નથી કે કોઈ પુછવા આવતું નથી."

વલસાડ ખાતે એનેમ ઈન્ડસ્ટ્રીયલ પાર્કનું ઉદ્ઘાટન કરવા આવેલા રૂપાલાએ જણાવ્યું કે, "હું ભારતીય જનતા પાર્ટીનો નેતા હોઉં એ અલગ વાત છે, પરંતુ પહેલા કાર્યકર્તા છું. ચૂંટણી ઢંઢેરો એક એવું ખાતું છે કે, તેમાં જે લખવું હોય એ લખી શકાય. કારણ કે પછી કોઈ યાદ રાખતું નથી. એક પણ પોલિટિકલ પાર્ટીના ચૂંટણી ઢંઢેરામાં તમે અમને મત આપો, અમે 24 કલાક વિજળી આપીશું એવું લખવાની કોઈએ હિંમત કરી નથી. અમારી પાર્ટીએ આ હિંમત કરી છે."

આમ, રાજકીય પાર્ટીઓના ચૂંટણી ઢંઢેરા માત્ર મિથ્યા વચન હોવાનો રૂપાલાએ આડકતરો સ્વીકાર કર્યો હતો. અત્યારે દેશમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે રૂપાલાનું આ નિવેદન ઘણું જ મહત્ત્વનું બની જાય છે. તેમાં પણ પાંચ રાજ્યોમાંથી ત્રણ રાજ્યમાં તો ભાજપની સરકાર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news