ગુજરાતની જનતાને ભુપેન્દ્ર પટેલે કહ્યું, ‘સરકાર અને પ્રજા બે અલગ નથી, તમારામાંથી જ એક વ્યક્તિ ગાંધીનગરમાં બેસી છે’

ગુજરાતની જનતાને ભુપેન્દ્ર પટેલે કહ્યું, ‘સરકાર અને પ્રજા બે અલગ નથી, તમારામાંથી જ એક વ્યક્તિ ગાંધીનગરમાં બેસી છે’
  • ગુજરાતી મીડિયામાં પહેલીવાર ZEE 24 કલાકના ધરતીપુત્રો કોન્કલેવના માધ્યમથી સીએમ ભુપેન્દ્ર પટેલે સંવાદ કર્યો 
  • ચૂંટણીમાં 182 બેઠકના લક્ષ્યાંક પર CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, સંગઠન અને સરકાર બંને સાથે રહી કરશે કામ

ઝી મીડિયા/બ્યૂરો :નવી સરકાર, નવા પડકાર, અને સાથે નવા મુખ્યમંત્રી અસરદાર... ગુજરાતના નવા મુખ્યમંત્રી (gujarat cm) ભુપેન્દ્ર પટેલે ગુજરાતની જનતાના દિલમાં બહુ ઓછા સમયમાં સ્થાન મેળવી લીધુ છે. તેમના ચોટદાર ભાષણો લોકોના દિલમાં ઘર કરી જાય છે. ટૂકુ બોલે છે પણ સચોટ બોલે છે તેવી તેમની છબી છે. તેમના મુખ્યમંત્રી બનીને લગભગ 60 જેટલા દિવસો થયા છે, ત્યારે તેમની સાથે અનેક નવા પડકાર છે. ગુજરાતી મીડિયામાં પહેલીવાર ZEE 24 કલાકના ધરતીપુત્રો કોન્કલેવના માધ્યમથી સીએમ ભુપેન્દ્ર પટેલે (Bhupendra Patel) સંવાદ કર્યો છે. ઝી 24 કલાકના એડિટર દિક્ષિત સોની સાથે તેમણે અનેક મુદ્દે ખૂલીને વાત કરી. સાથે જ સરકારનો આગામી રોડમેપ પણ જણાવ્યો.  

મારે લોકો સાથે સીધી અને સચોટ વાત કરવી છે 
સંવાદની શરૂઆતમાં જ તેમણે કહ્યું કે, ‘મેં હર હંમેશ જેમ પ્રજાની વચ્ચે રહીને જે કામ હોય તે ચાલુ જ છે. તેથી મારા માટે નવુ કંઈ નથી. કાર્યકર્તા જ મારુ જીવન છે. તેથી જૂના કામની જેમ જ આગળ વધી રહ્યો છું. હું ઓછુ એટલા માટે બોલુ છું કે, મારે લોકો સાથે સીધી અને સચોટ વાત કરવી છે. ટીમ વર્કથી કામ કરવુ એ નિયમ મારો પહેલે દિવસથી રહ્યો છે. મંત્રીઓને તમારાથી દૂર રાખો એટલી સમસ્યા વધે. તેથી અમે મળવાનું શરૂ કર્યું.’  

મારા માટે હું કોઈ ચિંતા કરતો નથી
એક્સક્લુઝિવ મુલાકાતમાં ગુજરાતની 2022ની ચૂંટણી વિશે સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ‘મારા માટે હું કોઈ ચિંતા કરતો નથી. પ્રજાને ખબર કોણ કામ કરે છે. હું મુક્ત રહીને કામ કરું છું. સારું કામ થશે તો ફરી સારું રિઝલ્ટ આવશે. મારું એક સૂત્ર 'સૌનો સાથ સૌનો વિકાસ' છે. એના પર જ કામ કરીશું. મારા મગજમાં નવી યોજનાઓ લાવવાનો કોઈ વિચાર નથી. કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેક યોજનાઓ છે, એ યોજનાઓ છેવાડાના લોકો સુધી પહોંચે તેના પ્રયાસમાં અમે લાગ્યા છીએ. પ્લાનિંગ કરીને સંગઠન અને સરકાર બંને કામ કરી રહી છે.’

No description available.

સંગઠન-સરકાર સાથે રહીને કામ કરશે 
તો આગામી ચૂંટણીમાં 182 બેઠકના લક્ષ્યાંક પર CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ‘સંગઠન અને સરકાર અમારા બે પૈડા. સંગઠન અને સરકાર બંને સાથે રહી કરશે કામ. બુથ લેવલે અમે કામગીરી કરી રહ્યા છે. 182 બેઠકોનો ટાર્ગેટ પૂર્ણ કરવાનો અમે પ્રયત્ન કરીશું.’ 

સરકાર 20 હજાર નવી નોકરીઓ લાવશે 
નવા પ્લાનિંગ વિશે તેમનુ કહેવુ છે કે, ‘રાજ્ય સરકાર નજીકના ભવિષ્યમાં 20 હજાર નવી નોકરી લાવશે. દરેક ક્ષેત્રે રોજગારી આવે, કૃષિ માટેના પ્રયત્નો અમારા ચાલુ છે. પાંચ વર્ષથી આવ્યા છે, અને હવે છોડી દઈશું તેવુ નથી. હજી પણ ટકી રહીશું. સ્ટાર્ટ અપ, ભરતી મેળા અને સ્કિલ ઈન્ડિયાથી રોજગારીની તકો ઉભી કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આથી જ ગુજરાતમાં બેરોજગારીનો દર 5 વર્ષમાં સૌથી ઓછો છે. પ્રધાનમંત્રીનો પણ એ જ પ્રયાસ છે કે દેશના લોકો કેવી રીતે ઉંચા આવે. 130 કરોડનો દેશ નરેન્દ્રભાઈના એક અવાજે કામ કરે છે. આ કારણે જ કોરોનામાં બીજા દેશો કરતા આપણી સ્થિતિ સારી છે. 

ભાજપનો દરેક કાર્યકર મહામારીમાં લોકોની પડખે રહ્યો 
તેમણે કહ્યું કે, કોરોના મહામારીમાં ભાજપનો કાર્યકરે પોતાના જીવની ચિંતા કર્યા વગર લોકોની વચ્ચે રહીને કામ કર્યું છે. કોરોના મહામારી એટલે એક સાંધો તેર તૂટે જેવી સ્થિતિમાં અમારા દરેક કાર્યકરે કામ કર્યું છે. આવામાં હુ નથી માનતો કે પ્રજા વચ્ચે એન્ટી ઈન્કમબન્સી છે. 

સરકાર અને પ્રજા બંને એક જ છે 
અંતે ગુજરાતની જનતાને એક સંદેશ આપતા તેમણે કહ્યું કે, સરકાર અને પ્રજા બે અલગ ન હોઈ શકે. પ્રજામાંથી જ એક વ્યક્તિ ગાંધીનગરમાં બેસેલો છે. તેથી બંનેના સહયારા પ્રયાસથી જ, જેમાં અધિકારીઓ પણ અંદર આવી જાય છે. અધિકારીઓ પર કોઈ આંગળી કરે એ મારા પર આંગળી કર્યા બરાબર નથી. તેથી પ્રજા અને સરકાર એક થઈને કામ કરે. અમે પ્રજાની મુશ્કેલીઓ દૂર કરવા અહી બેસ્યા છીએ. પ્રજાએ અત્યાર સુધી જે પરિણામ આપ્યા છે તે અમારા કામ થકી આપ્યા છે. સારુ કામ થશે તો ફરી સારુ પરિણામ આવશે. તેથી ટેન્શનમુક્ત અને એક થઈને 2022 માટે કામ કરી રહ્યાં છીએ. સહિયારા પ્રયાસથી સારું પરિણામ આવશે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news