ડીઝલના અસહ્ય ભાવ વધારાને કારણે હવે માછીમારો પણ બેહાલ, હોડીઓ લાંગરેલી જ રાખવી પડશે

ડીઝલના અસહ્ય ભાવ વધારાને કારણે હવે માછીમારો પણ બેહાલ, હોડીઓ લાંગરેલી જ રાખવી પડશે

* પોરબંદર સહિત ગુજરાતમાં માછીમારી સીઝનનો થયો પ્રારંભ
* ડીઝલમાં થયો કમર તોડ ભાવ વધારો
* 1 મોટી બોટમા વાર્ષિક 36 હજાર લીટર ડીઝલનો વપરાશ
* પોરબંદરમા નાની-મોટી 5 હજાર જેટલી બોટ
* ગુજરાતમાં નાની-મોટી 25 હજાર બોટ  
* સમગ્ર ગુજરાતની બોટોમાં વાર્ષિક 19 કરોડ લીટર ડીઝલનો વપરાશ

અજય શીલુ/પોરબંદર : શહેર સહિત ગુજરાતભરમાં માછીમારી સિઝનનો પ્રારંભ થયો છે. જો કે આ સીઝનમા માછીમારોને સૌથી મોટી સમસ્યા ડીઝલને લઈને જોવા મળી રહી છે. ડીઝલના ભાવ વધારાના કારણે માછીમારી ઉદ્યોગને મરણતોલ ફટકો પડ્યો છે. ડીઝલના ભાવ વધતા માછીમારોને મોંઘવારીનો માર પડી રહ્યો છે.

દેશનો સૌથી લાંબો 1600 કી.મીનો દરિયા કિનારો મળ્યો છે. જેના કારણે રાજ્યમાં માછીમારી ઉદ્યોગ સારા પ્રમાણમાં ફુલ્યો ફાલ્યો હોવાથી સરકારને કરોડો રૂપિયાનું વિદેશી હુંડીયામણ કમાઈ આપે છે. માછીમારી ઉદ્યોગના કારણે પોરબંદર સહિત ગુજરાતમાં લાખો લોકોને રોજગારી મળી રહી છે. મત્સ્યોધોગ અનેક લોકોને રોજગારી પુરી પાડે છે છતાં માછીમારો અનેક સમસ્યાઓના સાગરમાં ફસાયા છે. આમ છતાં દરિયાછોરૂ હિંમત હાર્યા વિના દરિયો ખેડી અને રોજગારીની તકો પુરી પાડે છે. સામાન્ય રીતે માછીમારી સિઝનનો પ્રારંભ 1 ઓગસ્ટે થતો હતો પરંતુ આ વર્ષે 1 સપ્ટેમ્બરથી શરૂ કરવા ફીશરીઝ કમિશ્નર ગાંધીનગર દ્વારા પરિપત્ર કરવામા આવ્યો હતો. 

જેના કારણે માછીમારોએ પોતાના વ્યવસાયની શરૂઆત કરી છે. પરંતુ માછીમારો માટે આ સિઝનમાં સૌથી મોટી સમસ્યા છે ડીઝલ પરનો ભાવ વધારો. ડીઝલ પર ભાવ વધારો થતા માછીમારોની આર્થીક હાલત કફોડી બની છે. છેલ્લા ત્રણ વર્ષથી વાવાઝોડા, કોરોના અને દરિયામાં માછલીનો જથ્થો ન મળવાના કારણે નુકશાનીનો સામનો કરી રહેલા માછીમારોને આ વર્ષે ડીઝલનો ભાવ વધારો પડ્યા માટે પાટા સમાન છે. ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં ડીઝલનો ભાવ 76.75 રૂપિયા હતો. જે આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં 96.15 રૂપિયા થયો છે એટલે આ વર્ષે માછીમારોને ડીઝલ પર એક લિટરે 18 રૂપિયા જેટલો ભાવ વધારો સહન કરવાનો વારો આવ્યો છે.

ડીઝલનો અસહ્ય ભાવ વધતા માછીમારોને મોટો આર્થીક ફટકો પડ્યો છે. એક બોટ ફીશીગંમા રવાના થાય છે ત્યારે તેમને અંદાજીત સાડા ચાર લાખ જેટલો ખર્ચ આવતો હોય છે. જેમાનો 70 ટકા ખર્ચ એટલે કે ત્રણ થી સાડા ત્રણ લાખ રૂપિયા તો માત્ર ડીઝલ પાછળ જ ખર્ચાઈ જાય છે. બાકી બચ્યા દોઢ લાખમાં રાશન, બરફ અને માણસોના પગાર સહિત અન્ય ખર્ચમાં વપરાય છે. સાડા ચાર લાખ જેટલો ખર્ચ કર્યા છતાં પણ માછલી જથ્થો કેટલો આવશે તેમનો કોઈ અંદાજ નથી આવતો પરંતુ ના છુટકે બોટ માલિકોએ બોટોને ફીશીંગમા રવાના કરવી પડે છે. પરંતુ સરકાર દ્રારા ડીઝલના ભાવમાં કોઈ રાહત નહીં મળે તો બોટ માલીકો દિવાળી આસપાસ પોતાની બોટો બંધ કરી દેવા મજબૂર બનશે તેમ બોટ માલિકોએ જણાવ્યુ હતું.

આટલો ખર્ચો કર્યા છતાં માછલીની કેવી આવક થશે અને તેમનો ભાવ કેવો મળશે તેને લઈને અનિશ્ચિતતા જોવા મળતી હોય છે. જેથી આવનાર દિવસોમા માછલીનો જથ્થો કેટલો મળે છે તેમના પર સૌની નજર છે,નહીતર ડીઝલના મારના કારણે પોરબંદરની 70 ટકા બોટો દિવાળી આસપાસ બંધ થઈ જશે તેવું બોટ માલિકોએ જણાવ્યુ હતું. હાલ તો ડીઝલના વધતા ભાવ માછીમારોને પડ્યા પર પાટા સમાન છે, પરંતુ પોતાનો વ્યવસાય-રોજગાર ચાલુ રાખવા માછીમારો મોંઘવારીના માર સાથે દરિયો ખેડવા રવાના થયા છે. ડીઝલના વધતા જતા ભાવ વધારાના કારણે માછીમારો ક્યાં સુધી દરીયાની સફર ખેડી શકે છે તે તો જોવું રહ્યું.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news