ચોમાસાની રાહ જોતા ખેડૂતો માટે અંબાલાલ પટેલની આગાહી, આ દિવસે કરો વાવણીનું શુભ મુહૂર્ત

Gujarat Weather Forecast : અંબાલાલ પટેલની વરસાદની આ આગાહી ખેડૂતોના બહુ કામની છે, જેનાથી તેઓ ક્યારે વાવણી કરી શકશે તેની માહિતી મળશે

ચોમાસાની રાહ જોતા ખેડૂતો માટે અંબાલાલ પટેલની આગાહી, આ દિવસે કરો વાવણીનું શુભ મુહૂર્ત

Ambalal Patel Prediction : ભલે ગમે તેટલા સંકટના વાદળા આવે, પરંતુ ખેડૂત ફરી ઉભો થઈને ખેતી કરે છે. માવઠું, દુષ્કાળથી ખેડૂત ન કદી ડર્યો છે, ન કદી ડરવાનો છે. ગમે તેટલી કુદરતી આફતોમાં પણ ફરી બેઠા થઈને વાવણી કરે છે. દરેક ખેડૂત માટે વાવણી બહુ જ મહત્વની છે. ઋતુ પ્રમાણે વાવણી થતી હોય છે. તેમાં પણ ચોમાસામાં થતી વાવણી ખેડૂતની આજીવિકા છે. ચોમાસાની ખેડૂતો કાગડોળ રાહ જોઈને બેસ્યા હોય છે કે, ક્યારે ચોમાસું આવે તો તે રીતે વાવણીની તૈયારીઓ કરે. આ માટે તેઓ હવામાન વિભાગના અપડેટ પર સતત નજર રાખતા હોય છે. ત્યારે વરસાદની આગાહી કરવામાં એક્સપર્ટ અને નિષ્ણાત એવા અંબાલાલ પટેલે ખેડૂતોને વાવણી અંગેના વાવડ આપ્યા છે. અંબાલાલ પટેલ ખેડૂતોને વાવણી માટે રસપ્રદ માહિતી લઈને આવ્યા છે. 

સારુ ચોમાસું 22 થી 24 જુનમાં આવશે 
અંબાલાલ પટેલ વરસાદની આગાહી કરવામાં નિષ્ણાત છે, ત્યારે આ વર્ષે ચોમાસું ક્યારે આવશે તેવી માહિતી તેઓએ આપી, જેથી ખેડૂતો અત્યારથી જ વાવણીની તૈયારીઓ શરૂ કરી દે. સાથે જ તેઓએ આ વર્ષે ચોમાસું કેવુ જશે તે વિશે પણ માહિતી આપી. ગુજરાતમાં ક્યારે વરસાદ આવશે તે વિશે અંબાલાલ પટેલે કહ્યું કે, હાલ અંદામાન નકોબારમાં ચોમાસુ આવી ગયું છે. પરંતુ તે આગળ વધવામાં થોડું ધીમું પડ્યું છે. પરંતુ આગામી બે દિવસમાં ભારતમાં સક્રિય થઈ જશે. તે જલ્દી જ આગળ વધશે. સારું ચોમાસું 15 જૂનથી સક્રિય થવાની શક્યતા છે. 22થી 24 જૂનમાં ગુજરાતમાં સારું ચોમાસું આવી શકે છે. એટલે કે, રોહિણી નક્ષત્ર અને જૂનની શરુઆતમાં કેટલાક ભાગોમાં વાવણી કરાવી શકે છે.

આ દિવસોમાં થશે વાવણીલાયક સારો વરસાદ 
તો ગુજરાતમાં આ વખતે ચોમાસું કેવુ રહેશે તે વિશે આગાહી કરતા જણાવ્યુ કે, રોહિણી નક્ષત્ર 25 મેથી 7 જૂન સુધી રહેશે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થવાની શક્યતા છે. જો 25 મેથી 7 જૂન વચ્ચે વરસાદ થાય તો વાવણી કરી શકાશે. પરંતુ જે ખેડૂત પાસે સિંચાઈ માટેનું પાણી છે, તેમણે વાવણી કરવી જોઈએ. કારણે 7 જૂન સુધી થયેવા વરસાદ બાદ ચોમાસાનો વરસાદ 22 જૂન આસપાસ આવવાની શક્યતા છે. એટલે વચ્ચે પીયત કરવું પડે. 10 જૂનથી 22 જૂનમાં વરસાદ ન આવે તો પણ પાકને પીયત કરવા માટે પાણીની વ્યવસ્થા હોય તો જ વાવણી કરવી જોઇએ.

હાલ કમોસમી વરસાદ આવશે
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિકના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે, જેને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામા આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાની શક્યતા છે. આ કારણે માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવાની હવામાન વિભાગે સૂચના આપી છે. છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ કમોસમી વરસાદની સ્વીચ પડી છે. આકાશમાં કુલર ચાલુ થયુ હોય તેમ વાતાવરણમા એકાએક પલટો આવ્યો છે. વાતાવરણમાં આ પરિવર્તનની સાથે અનેક વિસ્તારોમાં શુક્રવારે સાંજે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. હજી પણ આજે શનિવારે અને રવિવારે અનેક જિલ્લાઓમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાશે. તેમજ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ આવશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે.

ક્યાં ક્યાં વરસાદ આવશે 
સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના રાજ્યના અન્ય ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે 28 અને 29 તારીખે વરસાદ થવાની શક્યતાઓ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news