Navsari: નેશનલ હાઈવે પર રણોદ્રા પાસે કાર કૂદીને બીજી લેનમાં ટ્રક સાથે અથડાઈ, 5 લોકોનો ચમત્કારિક બચાવ

નવસારી પાસેથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 48 અકસ્માત ઝોન બની ગયો છે. અહીં રણોદ્રા પાસે સતત અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે. બે દિવસ પહેલા જ અકસ્માતમાં 9 લોકોના મોત થયા હતા. આજે પણ અહીં અકસ્માત સર્જાયો હતો. સદનસીબે પાંચ લોકોનો બચાવ થયો હતો.

Navsari: નેશનલ હાઈવે પર રણોદ્રા પાસે કાર કૂદીને બીજી લેનમાં ટ્રક સાથે અથડાઈ, 5 લોકોનો ચમત્કારિક બચાવ

ધવલ પારેખ, નવસારીઃ નવસારીમાંથી પસાર થતાં 50 કિમી લાંબા નેશનલ હાઇવે નં. 48 પર રણોદ્રાથી વેસ્મા નજીકનો વિસ્તાર અક્સ્માત ઝોન બની રહ્યો છે. ગત વર્ષના અંતિમ દિવસે કાર અને બસ વચ્ચે થયેલા અકસ્માતમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા બાદ વહેલી સવારે ફરી એજ પ્રકારે સર્જાયેલા અકસ્માતમાં સ્કોડા કાર પાંચ પલટી મારી, ડિવાઈડર કૂદીને સામેના ટ્રેક પર ટ્રક સાથે અથડાતા કારનો ભુક્કો બોલી ગયો હતો. છતાં કારમાં સવાર પારેખ પરિવારના પાંચેય સભ્યોનો ચમત્કારિક બચાવ થયો હતો. ઉલ્લેખનિય છે કે, ગત વર્ષ દરમિયાન હાઇવે પર થયેલા અકસ્માતોમાં 65 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. 

નવસારીના શશીકાંત પારેખ અને તેમનો પરિવાર બે દિવસ અગાઉ રાજકોટ ધાર્મિક કાર્યક્રમમાં ગયો હતો. ત્યાંથી તેઓ નવસારી પરત ફરી રહ્યા હતા, ત્યારે આજે વહેલી સવારે નવસારીના રણોદ્રા પાટિયા પાસે પ્રતિ કલાક 80 કિમીની ઝડપે દોડતી તેમની સ્કોડા કાર ચલવતા તેમના દિકરાએ સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવ્યો અને કાર પલટી ખાઈ ગઇ હતી. પાંચ પલટી મારી કાર ડિવાઈડર કૂદીને સામેના ટ્રેક પર ટ્રક સાથે ભટકાઈ હતી. આ ગોઝારા અકસ્માતમાં કારનો ખુરદો બોલી ગયો હતો. પરંતુ કારમાં સવાર શશીકાંત પારેખના પરિવારના પાંચેય સભ્યોનો ચમત્કારિક બચાવ થયો હતો. પારેખ પરિવારને સામાન્ય ઈજા થતા નવસારીની ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી અને નવા જીવન માટે ભગવાનનો આભાર વ્યક્ત કર્યો હતો. 

નેશનલ હાઇવે નં. 48 પર રણોદ્રા પાટિયાથી પરથાણ ગામ સુધીનો વિસ્તાર અક્સ્માત ઝોન બની રહ્યો છે. આજે સવારથી સાંજ સુધીમાં આ વિસ્તારમાં ત્રણ અકસ્માતો નોંધાઈ ચુક્યા છે, જેમાં 6 થી વધુ લોકો ઘાયલ થયા હતા. અકસ્માત થવા પાછળ નિષ્ણાતો રોડ એન્જિનિયરિંગમાં ક્ષતિ, વધુ પડતા અને નાના કટ, નશો કરીને વાહન ચલાવવું, ઓવરટેક તેમજ આરામ કર્યા વિના સતત વાહન ચલાવતા રહેવુ જેવા કારણોને માને છે. નવસારી જિલ્લામાં નેશનલ હાઇવે નં. 48 પર ગત વર્ષ દરમિયાન 52 થી વધુ અકસ્માતોમાં 65 થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે અક્સ્માત અટકાવવા રણોદ્રાથી વેસ્મા આસપાસના વિસ્તારને બ્લેક ઝોન જાહેર કરવા તંત્ર વિચાર કરી રહ્યુ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news