જયંતિ ભાનુશાળી હત્યા મામલે SITની રચના કરાઈ, CID અને ATS કરશે તપાસ

જે કોચમાં તેઓ સવાર હતાં તેમાંથી 3 કારચૂસમળી આવ્યાં છે. તેમના પર પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાંથી 2 ગોળી તેમને વાગી હતી. 

જયંતિ ભાનુશાળી હત્યા મામલે SITની રચના કરાઈ, CID અને ATS કરશે તપાસ

રક્ષિત પંડ્યા, રાજકોટ: ભાજપના દિગ્ગજ નેતા અને કચ્છ અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાળીની ટ્રેનમાં હત્યાની ઘટનાથી ચકચાર મચી છે. તેઓ સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેન દ્વારા ભૂજથી અમદાવાદ જઈ રહ્યાં હતાં. માળીયા નજીક ટ્રેનમાંથી તેમની હત્યા કરી નાખેલી લાશ મળી આવી. આ ઘટનાના પગલે ગુજરાતના રાજકારણમાં ગરમાવો વધી ગયો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ઘટનાને વખોડી છે. આ હત્યા મામલે SITની રચના કરવામાં આવી છે. કેસની તપાસ સીઆઈડી અને ATS દ્વારા કરવામાં આવશે. આ બાજુ જે કોચમાં તેઓ સવાર હતાં તેમાંથી 3 કારચૂસમળી આવ્યાં છે. તેમના પર પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાંથી 2 ગોળી તેમને વાગી હતી.

જયંતિ ભાનુશાળીનો પરિવાર હાલ માળિયા પહોંચ્યો છે. પરિજનોએ છબીલ પટેલ પર હત્યાનો આરોપ લગાવ્યો છે. અત્રે જણાવવાનું કે થોડા સમય પહેલા જ કથિત ઓડિયો ટેપને લઈને જયંતિ ભાનુશાળી વિવાદમાં આવ્યાં હતાં. દુષ્કર્મ મામલે પણ મોટો વિવાદ થયો હતો. હાલ જે ટ્રેનમાં જયંતિ ભાનુશાળીની હત્યા કરવામાં આવી હતી તેમાં તેમની સાથે જે વ્યક્તિ હતી તે પવન મૌર્યને માળિયાથી અમદાવાદ લાવવામાં આવ્યાં છે અને અમદાવાદ ખાતે એટીએસ દ્વારા તેમની પૂછપરછ  કરાશે. 

ટ્રનના જે કોચમાં હત્યા થઈ હતી તે કોચને તપાસ માટે અલગ કાઢીને ટ્રેનને આગળ અમદાવાદ રવાના કરવામાં આવી હતી. આ ઘટના મોડી રાતે બની હતી. રાતે બે વાગે રેલવે વિભાગને જાણ કરવામાં આવી હતી. ટ્રેનના એસી ફર્સ્ટ ક્લાસ કોચમાં તેઓ મુસાફરી કરી રહ્યાં હતાં. મળતી માહિતી મુજબ કટારિયા અને સૂરબારી વચ્ચે આ ઘટના ઘટી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news