સરકારી રાહત! ગુજરાતના આ 48 તાલુકાના ખેડૂત હોય તો જ રાખજો આશા, સરકારે આપ્યો છે મોટો ઠેંગો

મહત્વનું છે કે શિયાળામાં થયેલા માવઠાથી નુકસાન અંગે સરકારે સહાયની જાહેરાત કરી છે. પરંતુ ભરઉનાળે માવઠાથી થયેલા નુકસાન અંગે ક્યારે સર્વે કરી વળતર ચૂકવાશે તેવો ખેડૂતો સવાલ કરી રહ્યા છે

સરકારી રાહત! ગુજરાતના આ 48 તાલુકાના ખેડૂત હોય તો જ રાખજો આશા, સરકારે આપ્યો છે મોટો ઠેંગો

ઝી બ્યુરો/ગાંધીનગર: કમોસમી માવઠાના પેકેજનો સરકારે ઠરાવ કર્યો છે. વળતર માટે ખેડૂતોએ ઓફલાઇન અરજી કરવાની રહેશે. તાલુકા વિકાસ અધિકારીને સંબોધી ખેડૂતોએ અરજી કરવાની રહેશે. 13 જિલ્લાના 48 તાલુકાઓના નામો પણ સરકારે જાહેર કર્યા છે. ગુજરાત સરકારે કયા તાલુકાઓના ખેડૂતોને કૃષિ રાહત પેકેજ-2023૩નો લાભ મળશે તેની યાદી બહાર પાડી છે. જેમાં કચ્છ જિલ્લામાં લખપતને તથા અમરેલી જિલ્લામાં બાબરા અને લીલિયાને બાદ કરતા બધા તાલુકાઓમાં તેમજ અરવલ્લીના તમામ 6 તાલુકાઓમાં રાહત પેકેજ અપાશે.

આ તાલુકાઓમાં જ લાભ મળશે 
રાજકોટ જિલ્લાના જસદણ, જુનાગઢના વિસાવદર, બનાસકાંઠાના સુઈગામ, અરવલ્લીના ભિલોડા, મોડાસા, ધનસુરા, માલપુર મેઘરજ અને બાયડ, તાપીના કુકરમુંડા અને નિઝર, પાટણના સમી, શંખેશ્વર, સાંતલપુર અને પાટણ, સાબરકાંઠાના ઈડર, હિંમતનગર, પ્રાંતિજ અને તલોદ, સુરતના ઉમરપાડા અને માંડવી, કચ્છના ભૂજ, મુંદ્રા, માંડવી, અંજાર, ગાંધીધામ, નખત્રાણા, ભચાઉ, રાપર અને અબડાસા, અમરેલીના અમરેલી, કુંકાવાવ, બગસરા, લાઠી, ધારી, સાવરકુંડલા, ખાંભા, રાજુલા અને જાફરાબાદ, જામનગરના લાલપુર અને જામનગર, ભાવનગરના મહુવા, તળાજા, પાલિતાણા, ઘોઘા અને ગારિયાધાર તેમજ અમદાવાદના માંડલ અને વિરમગામ તાલુકાઓમાં રાહત પેકેજનો લાભ મળશે.

ચૈત્ર અને વૈશાખ માસમાં થયેલા માવઠાથી થયેલ નુકસાનનું વળતર ચૂકવવા ખેડૂતો માગ કરી રહ્યા છે. રાજ્યના કૃષિ વિભાગે જાહેર કરેલા કમોસમી માવઠાના પેકેજના ઠરાવમાં જણાવ્યું છે કે, 3 માર્ચ 23માં 4થી 24 માર્ચ દરમિયાન કમોસમી વરસાદથી અસર પામેલા ખેડૂતોને જ આ પેકેજનો લાભ મળશે. રાજ્યના 48 તાલુકામાં શિયાળુ પિયત પાકો- ઘઉં, ચણા, ઇસબગુલ, તમાકુ, રાઇ, જીરું, ધાણા લસણ, ડુંગળી, શાકભાજી વગેરેને તથા કેળ, પપૈયા, તડબૂચ, ટેટી જેવા વર્ષાયુ બાગાયતી પાકોને તેમજ આંબા, લીંબુ, જામફળ જેવા બહુ વર્ષાયુ બાગાયતી પાકોને માવઠાર્થી નુકસાન થયું છે. પરંતુ ખેડૂતો માટે સહાય મેળવવાની પદ્ધતિ ઠરાવ મુજબ અટપટ્ટી બનાવાઈ છે. 

ખેડૂતો કેવી રીતે અને ક્યાં કરશે અરજી
ખેડૂતની નિયમ ગામ નં-8-અના નમૂનાની અરજી તથા સર્વે અહેવાલને આધારે ગ્રામસેવકે તલાટી-કમ-મંત્રીના વાવેતરના દાખલાના આધારે નુકસાનગ્રસ્ત વિસ્તારના સપ્રમાણમાં ખાતાદીઠ સહાયની પાત્રતા તથા ચૂકવવાપાત્ર સહાય રકમની ચકાસણી કરી અર ખેતી વિસ્તરણ અધિકારીને તેમજ બાગાયતી પાકના કિસ્સામાં બાગાયતી અધિકારી તથા ખેતી વિસ્તરણ અધિકારી દ્વારા પાત્રતા ચકાસી સંયુક્ત ભલામણથી ટીડીઓને મોકલવી પડશે. ટીડીઓ પાત્રતા ચકાસી સહાય મંજૂર કરી યાદી જિલ્લા ખેતીવાડી અધિકારીને મોકલશે અને તે આરટીજીએસ- એનઇએફટી મારફત ચુકવણું કરશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં ભર ઉનાળા માવઠાથી ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તૈયાર પાક પર માવઠું થતા ખેડૂતોના મોઢે આવેલ કોળિયો છીનવાઈ ગયો છે..જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર, વાપી, અમરેલી સહિત રાજ્યભરમાં માવઠાથી પાકને ભારે નુકસાન થયું છે. કેરી, મગફળી, બાજરી, પપૈયા, જુવાર, મગ, ઘાસચારા સહિતના પાકોમાં ભારે નુકસાન થયું છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news