PFના 7 કરોડ ખાતાધારકો માટે મોટી ખુશખબર! હવે મળશે ફિક્સ વ્યાજ, શેર-બજારની નહીં થાય કોઈ અસર

PF Fixed Interest Rate: સાત કરોડ પીએફ એકાઉન્ટ હોલ્ડર્સને સરકાર તરફથી ફિક્સ વ્યાજ આપવાની તૈયારી કરવામાં આવી રહી છે. એટલે કે આવનાર સમયમાં શેર બજારમાં ઉતાર ચઢાવની અસર પીએફના વ્યાજ દર પર પડશે નહીં.

PFના 7 કરોડ ખાતાધારકો માટે મોટી ખુશખબર! હવે મળશે ફિક્સ વ્યાજ, શેર-બજારની નહીં થાય કોઈ અસર

EPFO News: જો તમે એક નોકરિયાત છો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ અને રસપ્રદ બની શકે છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન પોતાના કરોડો સભ્યોને નક્કી કરાયેલું વ્યાજ દર આપવા માટે એક નવું રિઝર્વ ફંડ બનાવવાનો પ્લાન કરી રહ્યું છે. આ નિર્ણયથી પીએ ખાતાધારકો દર વર્ષે નિશ્ચિત વ્યાજ મેળવી શકશે અને તેઓ બજારની વધઘટથી મુક્ત થશે. આ ફંડ તૈયાર કરવા માટે શ્રમ અને રોજગાર મંત્રાલય અને EPFOના અધિકારીઓ આંતરિક રીતે અભ્યાસ કરી રહ્યા છે.

એક નિશ્ચિત હિસ્સો કરવામાં આવે છે બજારમાં રોકાણ
વાસ્તવમાં, પીએફ ફંડનો એક નિશ્ચિત હિસ્સો EPFO ​​દ્વારા બજારમાં રોકાણ કરવામાં આવે છે. ઘણી વખત EPFO ​​ને એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETF) અને અન્ય રોકાણો પર ઓછું વળતર મળે છે. EPFO સભ્યોને પણ આનો માર સહન કરવો પડે છે. જ્યારે શેરબજારમાં ઘટાડો જોવા મળે છે, ત્યારે તેની અસર EPFOના રોકાણ પર મળેલી રકમ પર પણ પડે છે. ઓછા વળતરને કારણે EPFOએ PFના વ્યાજ દરમાં પણ ઘટાડો કરવો પડતો હોય છે.

આ પ્રકારની સમસ્યાથી બચવા માટે EPFO ​​એક રિઝર્વ ફંડ બનાવવાનું વિચારી રહ્યું છે જે રોકાણ પરના વળતરને સ્થિર રાખશે. આનાથી પીએફ ખાતાધારકો દર વર્ષે નિશ્ચિત વ્યાજ મેળવી શકશે, પછી ભલેને બજારની સ્થિતિ ગમે તે હોય.

કેવી રીતે કામ કરશે આ ફંડ?
હિન્દુસ્તાન વેબસાઈટમાં છપાયેલા સમાચાર અનુસાર, EPFO ​​દર વર્ષે આ સ્કીમ હેઠળ મળતા વ્યાજનો અમુક હિસ્સો અલગ રાખશે અને તેને રિઝર્વ ફંડમાં જમા કરશે. જ્યારે પણ બજારમાં ઘટાડો થાય છે અને રોકાણમાંથી ઓછું વળતર મળે છે, ત્યારે આ ફંડનો ઉપયોગ કરીને વ્યાજ દર સ્થિર રાખવામાં આવશે. EPFOના સાત કરોડથી વધુ સભ્યોને આનો ફાયદો થશે.

ક્યારે લેવાશે નિર્ણય?
અત્યારે આ યોજના પ્રારંભિક તબક્કામાં છે. શ્રમ અને રોજગાર મંત્રાલય અને EPFOના અધિકારીઓ આનો અભ્યાસ કરી રહ્યા છે. આગામી ચારથી છ મહિનામાં આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે જ્યારે EPFO ​​1952-53માં શરૂ થયું હતું, ત્યારે PF પર માત્ર 3% વ્યાજ મળતું હતું. 1989-90 સુધીમાં તે વધીને 12% થયો, જે 2000-01 સુધી રહ્યો. આ પછી સમયાંતરે તેમાં ફેરફારો થતા રહ્યા. હાલમાં 2023-24માં EPFOનું વ્યાજ 8.25% છે.

28મી ફેબ્રુઆરીએ યોજાશે મહત્વની બેઠક
નાણાકીય વર્ષ 2024-25 માટે PF વ્યાજ દર નક્કી કરવા માટે EPFO ​​ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી (CBT) 28 ફેબ્રુઆરીએ બેઠક કરશે. વ્યાજદરને સ્થિર રાખવા અથવા તેમાં નજીવો વધારો કરવા અંગે ચર્ચા થઈ શકે છે. જો કે વ્યાજદરમાં કાપની શક્યતા ઘણી ઓછી હોવાનું કહેવાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news