ટેન્ડર વગર અદાણીને પ્રોજેક્ટ પધરાવાયો : અનુસૂચિત જાતિના બાળકોના હકના પૈસે અદાણીને જલસા

Skill Development Project To Adani : અદાણીને 14 કરોડનો પ્રોજેક્ટ અપાયો... છેલ્લા ૨ વર્ષમાં કોઈને તાલીમ જ નથી આપી તો અદાણીને ૭.૮૭ લાખ રૂપિયા શેના માટે ચુકવવામાં આવ્યા છે?
 

ટેન્ડર વગર અદાણીને પ્રોજેક્ટ પધરાવાયો : અનુસૂચિત જાતિના બાળકોના હકના પૈસે અદાણીને જલસા

Skill Development Project To Adani : અદાણી જૂથના કૌભાંડો હવે વિશ્વસ્તરે ગાજી રહ્યાં છે. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર અદાણી ગ્રૂપ પર મહેરબાન હોવાના આક્ષેપ વિપક્ષો દ્વારા ઉઠાવાયા છે. ત્યારે ગુજરાત વિધાનસભાથી ચોંકાવનારી માહિતી સામે આવી છે. એ કે, અદાણીને વિના ટેન્ડરે સ્કિલ ડેવલપમેન્ટના 14 કરોડના કોન્ટ્રાક્ટની લ્હાણી કરી દેવાઈ. પરંતુ તેની સામે એક પણ બાળકને તાલીમ આપવામાં આવી નથી, છતાં અદાણીના ખાતામા 8 લાખ ચૂકવાયા છે. 

ગુજરાત વિધાનસભામાં આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંત આહીર દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રીએ માહિતી આપી હતી કે, તારીખ 5 માર્ચ, 2019 અને 6 ઓગસ્ટ, 2019 ના વર્ક ઓર્ડરથી નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ દ્વારા અદાણી સ્કીલ ડેવલપમેન્ટ, અમદાવાદ સાથે અનુસૂચિત જાતિના યુવાન યુવતીઓને તાલીમ આપવા માટે કરાર કરવામાં આવ્યા છે. જેની રકમ ૧૩.૯૮ કરોડ રૂપિયાની છે.

છેલ્લા બે વર્ષમાં કુલ ૭.૮૭ લાખની રકમની ચુકવણી પણ કરી દેવામાં આવી છે. ગુજરાત સરકારે વગર ટેન્ડર પ્રક્રિયાએ જ આટલી મોટી રકમના વર્ક ઓર્ડર અદાણીને આપી દીધો હતો. ગુજરાત વિધાનસભામાં છેલ્લા બે વર્ષમાં કેટલા યુવાન-યુવતીઓને તાલીમ આપવામાં આવી તેવુ પૂછવામાં આવ્યુ હતું. તેમજ વગર ટેન્ડરે વર્ક ઓર્ડર કોના કહેવાથી આપી દેવામાં આવ્યો તેવો સવાલ ઉઠાવાયો હતો. 

આ પણ વાંચો : 

જેમાં જાણવા મળ્યું કે, છેલ્લા ૨ વર્ષમાં કોઈને તાલીમ જ નથી આપી તો અદાણીને ૭.૮૭ લાખ રૂપિયા શેના માટે ચુકવવામાં આવ્યા છે? અનુસૂચિત જાતિના યુવક-યુવતીઓના હકના પૈસા કેમ અદાણીની ઝોળીમાં પધરાવી દેવાયા.

ધારાસભ્યએ કહ્યું કે, જો સરકાર 5 લાખથી વધુ રકમના કોન્ટ્રાક્ટની સોંપણી પણ ટેન્ડર વગર કરતી નથી, તો 14 કરોડનું કામ કેવી રીતે અદાણીને સોંપાયું. તે તપાસનો મુદ્દો છે.ય

ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભામા અપક્ષો દ્વારા સતત અદાણીનો મુદ્દો ઉઠાવવામાં આવે છે. તાજેતરમાં જ પૂછાયું હતું કે, અદાણી ગ્રુપે સરકાર પાસે ગૌચર, સરકારી પડતર-ખરાબાની કેટલી જમીન માંગી છે. આપના ધારાસભ્ય હેમંત આહિરના સવાલમાં સરકારે લેખિતમાં જવાબ આપ્યો કે, અમદાવાદમાં અદ્યતન ટાઉનશિપ માટે 29784 ચો. મી જમીન માંગી છે. ગાંધીનગર માં ટાઉનશિપના હેતુ માટે 61211 ચો. મી જમીન માંગી છે. આ તમામ જમીન અદલા બદલી અંતર્ગત માંગી હોવાનો સરકારે દાવો કર્યો.

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news