દુનિયાના સૌથી સસ્તા લગ્ન, સાદગીભર્યા લગ્ન કરવામાં સુરતના કપલે રેકોર્ડ બનાવ્યો, માત્ર 17 મિનીટમાં લગ્ન પૂરા

કોઈપણ યુવક યુવતીનું સપનું  હોય છે કે જ્યારે પણ તેના લગ્ન થાય ત્યારે કોઈ પણ કચાસ રહી ન જાય.પરંતુ સુરતમાં એક એવા લગ્ન થયા હતાં, જ્યા કોઈ પણ રીત-રસમ ન હતી, માત્ર 17 જ મિનિટમાં લગ્ન સંપન્ન થયા અને જાનૈયાઓને માત્ર ચા અને બિસ્કિટનો નાસ્તો કરાવવામાં આવ્યો, કેવા છે આ લગ્ન અને શા માટે આવું કરાયું જુઓ આ અહેવાલમાં..

દુનિયાના સૌથી સસ્તા લગ્ન, સાદગીભર્યા લગ્ન કરવામાં સુરતના કપલે રેકોર્ડ બનાવ્યો, માત્ર 17 મિનીટમાં લગ્ન પૂરા

તેજશ મોદી/સુરત :કોઈપણ યુવક યુવતીનુ સપનું  હોય છે કે જ્યારે પણ તેના લગ્ન થાય ત્યારે કોઈ પણ કચાશ રહી ન જાય. યુવક એક રાજાની માફક ઘોડા પર બેસીને રાણી જેવી તૈયાર થયેલી યુવતીને લેવા આવે. સુંદર સજાવટ કરેલા મંડપમાં તેઓ સાત ફેરા લે. સાથે બેન્ડબાજા વાગતા હોય અને જાનૈયાઓ માટે એકથી એક વેરાયટીવાળું ભોજન પિરસતા હોય. એટલે કે લાખો અને કરોડો રૂપિયા લગ્ન પાછળ ખર્ચ કરવામાં આવતા હોય છે. પરંતુ સુરતમાં એક એવા લગ્ન થયા હતાં, જ્યાં આવી કોઈ પણ રીત-રસમ ન હતી, માત્ર 17 જ મિનિટમાં લગ્ન સંપન્ન થયા અને જાનૈયાઓને માત્ર ચા અને બિસ્કીટનો નાસ્તો કરાવવામાં આવ્યો. કેવા છે આ લગ્ન અને શા માટે આવું કરાયું જુઓ આ અહેવાલમાં...

જે યુવક-યુવતીના લગ્ન લેવાય હતા, તે બંન્નેના ચહેરા પાર ઉત્સાહ જોવા મળ્યો હતો. કારણ કે તેઓ આજથી એકબીજાના જીવનસાથી બની રહ્યાં છે. તેમનો પરિવાર પણ ખુબ ખુશ છે. સુરતના નિહાર જનકભાઈ શાહ અને અશ્વિની પ્રભાકર દુવાડેના લગ્નમાં રૂપિયાનો ખોટો ધુમાડો જેવું કશું જ બન્યું નહિ. બંને પરિવાર તરફથી આવેલા 100 આમંત્રિતોની વચ્ચે ગુરુ મહારાજના ફોટો પાસે 17 મિનિટની આરતીથી લગ્નગ્રંથીથી બંને જીવન સાથી બન્યા છે. નિહાર અને અશ્વિની જે સંપ્રદાયમાં માને છે તેમાં ખોટો ખર્ચ કરવા પાર મનાઈ છે. આ પ્રથામાં એકદમ સાદગી સાથે લગ્ન કરવામાં આવે છે. સાથે કુરિવાજોને પણ દૂર રાખવામાં આવે છે. મહત્વનું એ પણ છે કે સાત ફેરા પણ ફરવામાં આવતા નથી. નિહાર આ લગ્ન વિશે શું કહે છે આપ તેના શબ્દોમાં જ સાંભળો....

નિહાર શાહ અમદાવાદમાં પરિવાર સાથે રહે છે અને બેંક મેનેજર તરીકે કામ કરે છે. જ્યારે કે, સુરતની રહેવાસી અશ્વિની પ્રભાકર દુવાડે ડોક્ટર છે. પોતાના સંપ્રદાયના સત્સંગમાં છ મહિના પહેલા બંનેની ઓળખાણ થઇ હતી. એકબીજાના સંપર્કમાં આવ્યા બાદ પરિવાર સાથે મળીને લગ્ન નક્કી કર્યા હતાં. લગ્નગ્રંથિમાં સમાજના કુ-રિવાજો દૂર કરવાનો નિર્ણય કર્યો હતો. મહત્વનું છે કે જે લગ્નમાં લાખોરૂપિયા ભોજન પાછળ ખર્ચ કરવામાં આવે ત્યાં અહીં લગ્નમાં આવેલા મહેમાનોને માત્ર ચાહ અને બિસ્કીટનો નાસ્તો કરાવવામાં આવ્યો હતો, તો જે મહેમાનો અન્ય શહેરમાંથી કે દૂરથી આવ્યા હતાં તે પોતાનું ટિફિન ઘરેથી લાવ્યા હતા, લગ્ન પ્રસંગમાં ઘરનું ટિફિન એકબીજાને જમાડી અનોખા લગ્નને ઉત્સાહી બનાવ્યા હતા. 

નિહાર અને અશ્વિનીની પણ એવી જ ઈચ્છા હતી કે તેમના લગ્ન ધામધૂમપૂર્વક થાય. પરંતુ સંપ્રદાયની દીક્ષા લીધા બાદ આવા કોઈ પણ ખોટા ખર્ચ કરવા ઉપર પ્રતિબંધ છે. ત્યારે બેન્ડબાજા, વરઘોડો કે ડાન્સ-ગીત, ફેરા અને જમણવાર વગરના લગ્ન પહેલી નજરે કદાચ અજુગતા જરૂર લાગે. પરંતુ આજના સમયમાં જે પ્રકારે ખર્ચ લગ્નમાં કરવામાં આવી રહ્યો તેને એક નવી દિશા જરૂર આપવાંનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news