ગુજરાતના જૈન મંદિરમાં થયો ચમત્કાર, મહાવીર સ્વામીના કપાળે દેખાયું સૂર્યતિલક

Mahavir Swami Surya Tilak : ગાંધીનગરના કોબામાં મહાવીર સ્વામીના લલાટે સૂર્યતિલક... કોબાના મહાવીર જૈન આરાધના ભવનનો અનન્ય નજારો... દર વર્ષે આ દિવસે આ જ સમયે ભગવાનને થાય છે સૂર્યતિલક... આચાર્યના કાળધર્મ સમયે જ લલાટે સૂર્ય તિલકનો મહિમા.. ભગવાન મહાવીર સ્વામીના લલાટે સૂર્યતિલકના દર્શન કરીને ધન્ય બન્યા લોકો 

ગુજરાતના જૈન મંદિરમાં થયો ચમત્કાર, મહાવીર સ્વામીના કપાળે દેખાયું સૂર્યતિલક

Gandhinagar News : કોબા ખાતે આવેલા મહાવીર જૈન આરાધના કેન્દ્ર ખાતે વર્ષમાં એક જ વાર થતી અલૌકિક ખગોળિય ઘટના જોવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. અહીં વર્ષમાં એકવાર થતી ખગોળિય ઘટનામાં સૂર્યના કિરણો બપોરે જિનાલયમાં સ્થાપિત પ્રભુ મહાવીરની પ્રતિમા પર તિલક કરતાં હોય તેવું દ્રશ્ય સર્જાયુ હતું. જિનાલય પ્રશાસન દ્વારા ભક્તોને આ ઘટના નિહાળવા વિશેષ વ્યવસ્થા કરાઈ હતી. આ ઘટના ક્લોઝ સર્કિટ કેમેરાથી જોઇ શકાય તેવી પણ વ્યવસ્થા પણ કરાઈ હતી. 

સર્જાય છે અલૌકિક દ્રશ્ય
અહીં જૈનોના ચોવીસમાં તીર્થકર શ્રી મહાવીરસ્વામીની શ્વેત આરસની પદ્માસન મુદ્રાની 41 ઇંચની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાઈ છે. 22મેના રોજ બપોરે 2 વાગીને 7 મિનીટે અહીં ભક્તો ભાવપૂર્વક મહાવીર પ્રતિમાને વંદન કરીને ‘ત્રિશલાનંદન વીર કી.. જય બોલો મહાવીર કી...’ ગાન કરતાં હતા. ત્યારે અચાનક ગર્ભગૃહમાં મહાવીરસ્વામીના લલાટ પર સૂર્યકિરણો પથરાતાં દેરાસર ઘંટારવથી ગાજી ઊઠ્યું હતું. સ્વયં સૂર્યદેવ મહાવીરસ્વામી પ્રભુની પ્રતિમા પર તિલક કરતાં હોય એવું એક અલૌકિક દ્રશ્ય રચાયું હતું. જે સુર્યતિલક તરીકે ઓળખાય છે. આ અદભુત સૂર્યતિલકની ઘટના ગુરુસ્મૃતિ અને ગુરુભક્તિનું અજોડ પ્રતીક બની છે. જોકે આ કોઈ ચમત્કાર નહીં પરંતુ સાયન્ટિફિક યોગ છે. કૈલાશ સાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબની યાદમાં શિષ્યએ જૈન આરાધના કેન્દ્ર બનાવ્યું છે, જ્યાં આજના દિવસે બપોરે 2 વાગીને 7 મિનિટે ભગવાન મહાવીર સ્વામીના લલાટ પર સૂર્ય તિલક થાય છે.

33 વર્ષથી દેખાય છે સૂર્યતિલક
છેલ્લાં 33 વર્ષથી અદભૂત સુર્યતિલક કોબાના જૈન મંદિરમાં 22 મેના દિવસે જોવા મળે છે. પહેલીવાર 1987ના વર્ષે આ ઘટના બની હતી. તેના બાદ દર વર્ષે 22 મેના રોજ બપોરે 2 વાગીને 7 મિનીટે મહાવીર સ્વામીના ભાલ પર સૂર્યતિલક દેખાય છે. 3થી 4 મિનીટ સુધી ભક્તોને આ નજારો માણવા મળે છે, જે જોઈને તેઓ ધન્યતા અનુભવે છે. અહીં ઘણીવાર એવા ચમત્કાર પણ સર્જાયા છે, વાદળો ઘેરાયા હોય, તો પણ આ સમયે સૂર્ય દેખાઈને સૂર્યતિલક સર્જાય છે.

શા માટે 22 મેના રોજ જ દેખાય છે સૂર્યતિલક?
આ કોઇ ચમત્કાર નથી પરંતુ શિલ્પ શાસ્ત્ર, ગણિત શાસ્ત્ર અને જયોતિષ શાસ્ત્રના સમન્વયથી બનતી ઘટના છે. રાષ્ટ્રસંત જૈનાચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજીની પ્રેરણાથી ગણિતજ્ઞ અરવિંદસાગરજી મ.સા. અને અજયસાગરજી મ.સા.એ શિલ્પ-ગણિત અને જયોતિષ શાસ્ત્રના સમન્વયથી એવી રીતે આ દેરાસરનું નિર્માણ કરાવ્યું છે. જૈનચાર્ય કૈલાસસાગરસૂરીશ્વરજી મ.સા.ને અંતિમ સંસ્કાર આ દિવસે અને સમયે આપવામાં આવ્યા હતા. તેની સ્મૃતિ કાયમી રહે તે હેતુથી આ દિવસ અને સમય પસંદ કરવામાં આવ્યો છે. 33 વર્ષોથી આ સૂર્ય તિલક થાય છે અને હજુ સુધી કોઇ વાદળ કે કોઇપણ પ્રાકૃતિક આપદાને કારણે સૂર્ય તિલક ન થયું હોય એવો પ્રસંગ બન્યો નથી. આ ઘટના થાય છે, તેનું કારણ છે કે સૂર્યની ગતિ નિશ્ર્વિત છે અને જયોતિષ શાસ્ત્ર મુજબ પણ સૂર્ય કયારેય વક્ર ગતિ નથી કરતો. જેને આધારે આ દેરાસરનું નિર્માણ થયું છે કે દર વર્ષે ૨૨મી મેના રોજ બપોરે ૨.૦૭ મિનિટે અહીં સૂર્ય તિલક થાય છે અને દેશભરમાંથી લોકો આ નજારો જોવા કોબા આવે છે.

માત્ર 7 મિનિટ જોવા મળે છે આ નજારો 
દર વર્ષે માત્ર આ સાત મિનિટ સુધી ભક્તોને આ નજારાને માણવા મળતો હોય છે, તેથી અહીં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. જ્યારે દેશભરનાં જૈન તીર્થોમાં એકમાત્ર કોબાના જિનાલયમાં પ્રતિ વર્ષ આ અલૌકિક દ્રશ્ય રચાય છે. ત્યારે રાજસ્થાનથી પણ અનેક ભાવિક ભક્તો આ નજરો માણવા આવ્યા હતા.

દર વર્ષે ભગવાનના ભાલે થતાં સૂર્યકિરણની આ અલૌકિક ખગોળીય ઘટના દેશભરના લોકો નિહાળે છે. ઘણાં વર્ષોથી આ સૂર્ય તિલક થાય છે અને હજી સુધી કોઈ વાદળ કે કોઈપણ પ્રાકૃતિક આપદાને કારણે સૂર્ય તિલક ન થયું હોય એવો પ્રસંગ બન્યો નથી. કદાચ આ વિશ્વનું એકમાત્ર જિનાલય કહી શકાય કે જ્યાં આ પ્રમાણે સૂર્ય તિલકનો નજારો જોવા મળે છે.આચાર્યદેવ કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજાના કાળધર્મ દિવસની પુણ્યસ્મૃતિમાં આ તિલક થાય છે. ચોક્કસ દિવસે ચોક્કસ સમયે ભગવાનની પ્રતિમા ઉપર સૂર્યતિલક થાય એવી આ ઘટના એક માત્ર કોબા જૈન તીર્થ ખાતે જ જોવા મળે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news