ઘોઘા હત્યાકાંડ મુદ્દે જિજ્ઞેશ મેવાણી વિધાનસભા ઘેરાવ કરે તે પહેલા અટકાયત કરાઈ

ઘોઘા હત્યાકાંડ મુદ્દે જિજ્ઞેશ મેવાણી વિધાનસભા ઘેરાવ કરે તે પહેલા અટકાયત કરાઈ
  • જિજ્ઞેશ મેવાણીએ કહ્યું, ગુજરાતમાં અનુસૂચિતો સાથે અન્યાય થઈ રહ્યો છે અને સવાલ પૂછવા દેવામાં નથી આવી રહ્યો
  • સણોસરા ગામ મુદ્દે PSI ની ધરપકડ કેમ નથી તેનો જવાબ નથી આપવામાં આવી રહ્યો

બ્રિજેશ દોશી/ગાંધીનગર :ગાંધીનગરના ઘોઘાના સણોસરા ગામે અનુસૂચિત વ્યક્તિની હત્યાની ઘટના બાદ PSIની ધરપકડની માંગ સાથે આજે MLA જીગ્નેશ મેવાણી (jignesh mevani) ની અધ્યક્ષતામાં દેખાવોનો કાર્યક્રમ યોજાયો હતો. જિજ્ઞેશ મેવાણીની અધ્યક્ષતામાં આ મુદ્દે વિધાનસભા ઘેરાવો કરવાની તૈયારી કરવામા આવી હતી. તે પહેલા જ જિજ્ઞેશ મોવાણીની અટકાયત કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં MLA ક્વાર્ટર બહાર વિરોધ કાર્યક્રમને પગલે અગાઉથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. આ પહેલા પણ વિધાનસભામાં મેવાણીએ ગૃહમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. 

મુખ્યમંત્રી રૂપાણી અનુસૂચિતોના મિત્ર બનવા માંગતા નથી : મેવાણી 
આ વિશે જિગ્નેશ મેવાણીએ સરકાર સામે અનેક સવાલો ઉઠાવતા કહ્યું કે, રોસ્ટર પદ્ધતિ લાગુ થવા મામલે અનામત અંગે અનેક સવાલ ઉભા થયા છે. ગુજરાતમાં રિઝર્વેશન એક્ટ ન હોવાના કારણે ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં ટોટલ કેટલો બેકલોગ બાકી છે અને કેવી રીતે રોસ્ટરની પદ્ધતિ લાગુ થાય છે તેનાથી સમગ્ર ગુજરાતના અનુસૂચિત આદિવાસીઓ, ઓબીસી સમાજના ભાઈબહેનો બેખબર છે. સમગ્ર ગુજરાતમાં અનામતને લઈને શુ થશે તે વિશે માહિતી નથી. 372 PSI ની ભરતીમાં ઓબીસી અને એસટી સમાજનો છેદ ઉડાડવામાં આવ્યો છે. અનુસૂચિતો પરના હુમલાની આ 14 મી ઘટના સામે આવી છે. છતાં હુમલાઓ પર કાર્યવાહી કરવામાં નથી આવતી. અમે ફક્ત વિધાનસભા બહાર પ્લે કાર્ડથી સવાલ પૂછવા માંગીએ છીએ. અમરાભાઈ બોરીચાના પરિજનો 22  દિવસથી માંગ કરી રહ્યા છે. મુખ્યમંત્રી રૂપાણી અનુસૂચિતોના મિત્ર બનવા માંગતા નથી. ગુજરાતમાં અનુસૂચિતો સાથે અન્યાય થઈ રહ્યો છે અને સવાલ પૂછવા દેવામાં નથી આવી રહ્યો. વિધાનસભામાં પણ આ અંગે સવાલ પૂછવા નથી દેવાતો. ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ સમગ્ર મામલે મૌન છે. સણોસરા ગામ મુદ્દે PSI ની ધરપકડ કેમ નથી તેનો જવાબ નથી આપવામાં આવી રહ્યો. પોસ્ટર લઈને સરકારને સવાલ પૂછવા માંગીએ છીએ. અમારી વેદના વ્યક્ત કરવા માંગીએ છીએ. 

આ પણ વાંચો : મનસુખ હિરેન હત્યા કેસના તપાસનો રેલો અમદાવાદ પહોંચ્યો, ફેક્ટરી માલિકે 14 સીમકાર્ડ આપ્યા હતા  

શું હતો ઘોઘા હત્યાકાંડ
તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ચૂંટણીની હારજીત બાદ ઘોઘાના સણોદર ગામે ચૂંટણી પરિણામ બાદ મારામારી થઈ હતી. કોંગ્રેસના વિજય સરઘસ દરમિયાન એક અનુસૂચિત શખ્સ પર ટોળાએ પથ્થરમારો કરતા તેની ધોલાઈ કરી હતી. ગંભીર રીતે ઘવાયેલા ઇજાગ્રસ્ત ને 108 દ્વારા હોસ્પિટલ લઈ જવા સમયે રસ્તામાં તેનુ મોત નિપજ્યું હતું. ચૂંટણી સરઘસ દરમ્યાન થયેલ મર્ડરની ઘટનામાં 10 વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ હતી. મૃતકના પરિવારજનોએ લાશ સ્વીકારનો ઈન્કાર કર્યો હતો અને ઘોઘા પીએસઆઇ સોલંકીને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. ત્યારે ડીઆઈજી અશોક યાદવે ઘોઘા પીએસઆઇને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો. પીએસઆઇ સોલંકીને સસ્પેન્ડ કરાતા મામલો શાંત પડ્યો હતો અને પરિવારજનોએ લાશનો સ્વીકાર કર્યો હતો. સણોદર અનુસૂચિત આધેડની હત્યા મામલે અલગ અલગ 2 ફરિયાદ નોંધાઇ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news