પદ્મશ્રી લેતા પહેલા આ ગુજરાતણ PM સામે જોઈને બોલ્યા, આપ ને મેરી ઝોલી ભર દી

padma shri 2023 : ગુજરાતમાં સિદ્દી સમાજનો ઉદ્ધાર કરનાર હીરાબાઈ લોબીને આજે પદ્મશ્રી એનાયત કરાયો.... ‘આપ ને મેરી ઝોલી ભર દી' કહીને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા હીરાબાઈ લોબીએ PM મોદીનો આભાર વ્યક્ત કર્યો

પદ્મશ્રી લેતા પહેલા આ ગુજરાતણ PM સામે જોઈને બોલ્યા, આપ ને મેરી ઝોલી ભર દી

hirabai lobi gujarat : ગુજરાતમાં 700 થી વધુ મહિલાઓ અને બાળકોનું જીવન અને નસીબ બદલનાર ગુજરાતના સિદ્દી સમાજના હીરાબાઈ ઈબ્રાહીમ લોબીને આજે પદ્મશ્રી પુરસ્કાર 2023 થી સન્માનિત કરાયા છે. આ સન્માન મહિલા સશક્તિકરણ અને સીદ્દી સમાજના ઉદ્ધાર માટે કરાયેલા કામોને કારણે અપાયું છે. બુધવાર, 22 માર્ચના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં સમારોહમાં હીરાબાઈ લોબીને સન્માનિત કરાયા. ત્યારે તેમનો હૃદય સ્પર્શી વીડિયો સામે આવ્યો છે. હીરાબાઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સામે પોતાના દુપટ્ટો ફેલાવીને કંઈક કહેતા નજર આવ્યા હતા. એટલુ જ નહિ, તેઓએ પદ્મશ્રી લેતા સમયે રાષ્ટ્રપતિ દ્રૌપદ્રી મૂર્મુના ખભા પર હાથ પણ મૂક્યો હતો. 

પદ્મશ્રી પુરસ્કાર માટે જેમ હીરાબાઈ લોબીના નામની જાહેરાત થઈ, તો તેઓ ઉભા થઈને આગળ આવ્યા હતા. હરોળમાં સૌથી આગળ બેસેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાની સામે આવીને હીરાબાઈ રોકાઈ ગયા હતા. તેઓ થોડી સેકન્ડ માટે ઉભા રહ્યા હતા. આ દરમિયાન તેઓ પ્રધાનમંત્રી મોદીને કંઈક બોલ્યા હતા. તેમણે હાજર મહેમાનોની સામે કહ્યું કે,

‘‘મારા ભાઈ નરેન્દ્ર ભાઈ, તમે મારી ઝોળી ખુશીઓથી ભરી દીધી. કોઈએ અમને કોઈ માન્યતા ન આપી અને જ્યાં સુધી તમે અમારી કોઈ પરવાહ ન કરી, ત્યાં સુધી કોઈએ અમારા વિશે પરવાહ પણ ન કરી, તમે અમને સૌથી આગળ લઈ આવ્યા...’’

હીરાબાઈ લોબીએ પદ્મશ્રી સન્માન લેતા સમયે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના ખભા પર હાથ રાખ્યો હતો. ઉલ્લેખનીય છે કે, દ્રૌપદી મૂ્ર્મુ આદિવાસી સમુદાયથી આવે છે. તેઓ આદિવાસી સમુદાયથી આવનાર ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ છે. 

કોણ છે હીરાબાઈ લોબી
આદિવાસી સિદ્દી સમાજમા હીરાબાઈ લોબી જાણીતું નામ છે. આ સમાજના ઉત્થાન માટે તેમણે પોતાનું જીવન ખર્ચી નાંખ્યું. તેઓ ગીર સોમનાથના જાંબુરના વતની છે. સિદ્દી સમાજના વિકાસમા તેમનો મોટો ફાળો છે. તેથી જ સરકાર દ્વારા તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામા આવ્યા છે. તેઓએ સિદ્દી સમાજના બાળકોના ભણતર માટે મોટું કામ કર્યું. તેઓએ વર્ષ 2004 માં મહિલા વિકાસ ફાઉન્ડેશનની સ્થાપના કરી, જેથી સિદ્દી સમાજની મહિલાઓ આત્મનિર્ભર બને. આ સંસ્થા દ્વારા તેઓ મહિલાઓને પ્રગતિશીલ બનાવવાના રસ્તાઓ શીખવાડે છે, જેથી તેઓ પગભર થાય. હીરાબાઈ પોતે બહુ જ ઓછું શિક્ષણ મેળવ્યું છે, પંરતું શિક્ષણ માટેનું તેમનુ યોગદાન અનેરું છે. હીરાબાઈએ સીદી સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે તેના માટે તેઓએ જાગૃતિ લાવી છોકરા છોકરીઓને ભણતા કર્યા. 

હીરાબાઈએ નાનપણથી જ માતાપિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. તેમના દાદીમાએ તેમનો ઉછેર કર્યો હતો.  વર્ષ 2006 માં હીરાબાઈ જાનકીદેવી બજાજ પુરસ્કારથી પણ સન્માનિત થઈ ચૂક્યાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news