Kutch: 4.63 કરોડના જમીન કૌભાંડમાં CIDએ દાખલ કરી FIR, પ્રભુરામની ધરપકડ

કુશલ મુકેશ ઠક્કરે પોતાની સાથે 4.63 કરોડની છેતરપિંડી થઈ હોવાની આપેલી ફરિયાદના આધારે સીઆઈડી ક્રાઈમે આજે ત્રણ આરોપી સામે વિધિવત્ ફોજદારી દાખલ કરી છે.

Kutch: 4.63 કરોડના જમીન કૌભાંડમાં CIDએ દાખલ કરી FIR, પ્રભુરામની ધરપકડ

રાજેન્દ્ર ઠક્કર, ભૂજ: કચ્છ (Kutch) માં કરોડો રૂપિયાના જમીન કૌભાંડો (Froud) ના દાખલાઓ મોજૂદ છે. માંડવીના મોટા લાયજા નજીક મોટું બંદર (Port) નિર્માણ પામવાનું હોઈ જમીનોના ભાવ ઊંચકાવાની લાલચ બતાડી ડુમરાના જેન્તી જેઠાલાલ ઠક્કર અને તેમના પરિવારજનોને જમીનમાં રોકાણ કરાવડાવી ચીટીંગ કરવાના કૌભાંડ (Froud) માં બીજી ફોજદારી ફરિયાદ દાખલ થઈ છે.

જેન્તી ઠક્કરના ભાણેજ કુશલ મુકેશ ઠક્કરે પોતાની સાથે 4.63 કરોડની છેતરપિંડી થઈ હોવાની આપેલી ફરિયાદના આધારે સીઆઈડી ક્રાઈમે આજે ત્રણ આરોપી સામે વિધિવત્ ફોજદારી દાખલ કરી છે. જે પૈકી એક આરોપી પ્રભુ રામ ગઢવીની ભુજમાંથી ધરપકડ કરી લેવાઈ છે.

ફરિયાદી કુશલ ઠક્કર (હાલ રહે. આઈયાનગર, ભુજ, મૂળ રહે. વાયોર, અબડાસા)એ ફરિયાદમાં જણાવ્યું કે 2011ના વર્ષમાં મોટા લાયજા રહેતા જમીન દલાલ રમેશગર કાનગર ગુંસાઈએ તેનો સંપર્ક કરી પાંચોટીયાના કરસન કેશવભાઈ ગઢવી અને નાની ખાખરના પ્રભુ રામ ગઢવી જોડે બેઠક કરાવી હતી. કરસન ગઢવી અને પ્રભુ ગઢવીએ લાયજા નજીક અદાણી કરતાં વિશાળ બંદર આકાર પામી રહ્યું હોવાનું જણાવી સૂચિત પ્રોજેક્ટ અંગે ગુજરાત સરકાર (Gujarat Governmet) ના એમઓયુ, પ્રોજેક્ટ સાઈટના નકશા વગેરે બતાડી 40 હજાર કરોડથી વધુ રકમનું રોકાણ આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું. 

આ પ્રોજેક્ટ (Project) માટે કંપનીએ તેમના હસ્તકની મોટી જમીન ખરીદી હોવાનું જણાવી તેને લગતાં બોગસ દસ્તાવેજો તેમણે બતાડ્યાં હતા. ત્યારબાદ, આરોપીઓએ કુશલ ઠક્કરને પ્રોજેક્ટની આસપાસની તેમનાં સગાની માલિકીની જમીનમાં રોકાણ કરવા અને પાછળથી કંપનીને ઊંચા ભાવે વેચી તગડું વળતર મેળવવાના આંબા-આંબલી બતાડ્યાં હતા.આરોપીઓની વાતોથી લલચાઈ જઈને કુશલ ઠક્કરે જમીનનો સોદો કરવામાં રસ દાખવ્યો હતો. કરસન ગઢવીએ તેની માતા કામયાબેન ગઢવી અને પત્ની કમશ્રી ગઢવીની માલિકીની મોટા લાયજા ગામે આવેલી જમીન ખરીદવાની ઓફર કરી હતી. 

ત્યારબાદ પ્રતિ એકર 9.51 લાખ રૂપિયાના ભાવે કુશલે 51.028 એકર જમીન કુલ 4.63 કરોડમાં ખરીદવાનો સોદો નક્કી કર્યો હતો. આરોપીઓ પાસેથી સાટા કરારથી જમીન ખરીદી 13-01-2012થી 26-03-2013ના એક વર્ષ દરમિયાન ટૂકડે ટૂકડે 4.63 કરોડ ચૂકવી આપ્યાં હતા. નાણાં આપ્યા બાદ પણ આરોપીઓએ જમીનના રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કરી આપ્યા નહોતા. જેથી કુશલ માંડવી મામલતદાર કચેરીએ સાટા કરારની નોંધ દાખલ કરાવવા ગયો હતો. જ્યાંથી ખબર પડી હતી કામયાબેન કે કમશ્રીબેન ગઢવીની માલિકીની કોઈ જમીન છે જ નહીં અને આરોપીઓએ જે સાત-બાર અને 8-અના ઉતારાની નકલો આપી હતી તે પણ ખોટી છે.

સમાધાન મુજબ આરોપીઓએ આપેલા ચેક્સનું સ્ટોપ પેમેન્ટ કરાવેલું
આરોપીઓએ પોતાની સાથે છેતરપિંડી કરી હોવાનું સ્પષ્ટ થયા બાદ કુશલ ઠક્કરે તેમની વિરુધ્ધ ફોજદારી ફરિયાદ દાખલ કરાવવા હાઈકોર્ટમાં અરજી દાખલ કરેલી. 2017માં હાઈકોર્ટ આ પ્રકરણમાં ફોજદારી દાખલ કરવા નિર્દેશ આપ્યો હતો. હાઈકોર્ટના હુકમના પગલે આરોપીઓએ પોતાની સામે ફોજદારી દાખલ ના થાય તે હેતુથી સમાધાનના પ્રયાસો શરૂ કર્યા હતા. 29-03-2018નાં રોજ વિજય કરસન ગઢવી, સલીમ આમદ જત અને જેન્તી જેઠાલાલ ઠક્કરની હાજરીમાં આરોપીઓએ બે કરોડના 50-50 લાખના ચાર ચેક લખી આપી બાકીની રકમ અન્ય જમીન વેચીને પરત કરી આપવાની બાંહેધરી આપી હતી. પરંતુ, પાછળથી આરોપીઓએ તેમણે આપેલાં ચેકોનું સ્ટોપ પેમેન્ટ કરાવી દીધું હતું.

CID ક્રાઈમના કચ્છ (Kutch) એકમે જમીન દલાલ રમેશગર ગુંસાઈ, પ્રભુ રામ ગઢવી અને તેના પાર્ટનર કરસન કેશવ ગઢવી સામે ગુનાહિત ષડયંત્રરચી, બોગસ દસ્તાવેજો ઉભાં કરી ગુનાહિત વિશ્વાસઘાત-છેતરપિંડી કરવાની કલમો તળે FIR દાખલ કરી છે. ઉલ્લેખનીય છે કે, આ પ્રકરણમાં અગાઉ પણ એક ફોજદારી દાખલ થયેલી છે. કુશલે જણાવ્યું કે, આરોપીઓએ આ રીતે તેના મામા જેન્તી ઠક્કરના સ્વજન મમતાબેન જયંતીલાલ ઠક્કર, મીતાબેન જેન્તીલાલ ઠક્કર, ભગવતીબેન ભાવેશ ઠક્કર, નયનાબેન મુકેશભાઈ ઠક્કર, મીનાક્ષીબેન પરેશભાઈ ઠક્કર એમ પાંચ જણ સાથે પણ બનાવટી દસ્તાવેજોના આધારે કરોડો રૂપિયા ઠગાઈ કરેલી છે. હજુ તપાસ બાદ વધુ વિગતો બહાર આવી શકે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news