લોકસભા ચૂંટણી 2019: મહેસાણા બેઠક અંગે ભાજપમાં આંતરિક દ્વિધા

આશાબહેન પટેલ સામે ઉકળતો ચરૂ, પત્રિકા અને બેનર યુદ્ધની શરૂઆત, તરફેણમાં અને વિરોધમાં બેનરો લાગ્યા તો વળી કેટલાકે સોશિયલ મીડિયામાં પત્રિકાઓ વાયરલ કરી 

લોકસભા ચૂંટણી 2019: મહેસાણા બેઠક અંગે ભાજપમાં આંતરિક દ્વિધા

મહેસાણાઃ મહેસાણા લોકસભા અને વિધાનસભા બેઠક અંગે ભાજપમાં આંતરિક દ્વિધા ઉભી થઈ છે. બંને બેઠકને લઈને પાર્ટીમાં કોકડું ગુંચવાયેલું છે અને તેના માટે છેલ્લા કેટલાક સમયથી પાર્ટીમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા આશાબહેન પટેલને લઈને પાર્ટીમાં આંતરિક વિખવાદ પેદા થયો છે. હવે એક સંભાવના એવી પણ ચાલી રહી છે કે, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને આ બેઠક પર લોકસભાના ઉમેદવાર બનાવવામાં આવે. 

આશાબેન પટેલ દ્વારા કોંગ્રેસમાંથી રાજીનામું આપવા અંગે પણ વિસ્તારમાં જાત-જાતની ચર્ચાઓ ચાલી રહી છે. તાજેતરમાં જ ઊંઝા તાલુકાના વિશોળ ગામના સરપંચ હર્ષદ પટેલ દ્વારા સોશિયલ મીડિયામાં એક પત્રિકા કરાઈ વાયરલ કરવામાં આવી છે, જેમાં આશાબેને રાજીનામું શા માટે આપ્યું તેનો ઉલ્લેખ કરાયો છે. 

બીજી તરફ આશાબેનના મતવિસ્તાર ઊંઝામાં બેનર યુદ્ધ પણ શરૂ થયું છે. આશાબેન પટેલના સમર્થ સહિત વિરોધ પ્રદર્શન કરતા બેનરો શહેરમાં ઝુલતા જોવા મળી રહ્યા છે. આ સમગ્ર બાબતે આશાબેને પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, "જૂજ સત્તાલાલચુ લોકો વિરોધ કરતાં હોય તેવું લાગે છે. કોઈ એક વ્યક્તિના કહેવાથી રાત્રીના સમયે મારા વિરોધમાં કોઈ રાત્રે બેનર લગાવી જાય છે અને પછી સવારે આ બેનરો ઉતરી જાય છે. પ્રજા મારા સમર્થનમાં છે. પ્રજાના પ્રેમ થકી આજે હું આ મુકામ પર પહોંચી છું. ભાજપમાં જોડાયા બાદ મને લોકોનું સમર્થન વધ્યું છે. વિકાસના ઘણા કામ ઊંઝા માટે મળ્યા છે."

લોકસભા કે વિધાનસભા ચૂંટણી લડવા અંગે આશાબેન પટેલે કહ્યું કે, "ભાજપની સરકારે ઊંઝાના વિકાસ માટે કરોડો રૂપિયાના કામ મંજૂર કર્યા છે. મોવડીમંડળ જે પ્રમાણે કહેશે તે પ્રમાણે હું લોકસભા કે વિધાનસભા ચૂંટણી લડીશ."

ગાંધનગર ખાતે મહેસાણાના ગુંચવાયેલા કોકડા અંગે પ્રતિક્રિયા આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, " મહેસાણા બેઠકનું કોકડું ગુંચવાયેલું નથી. પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડ ઉમેદવારો નક્કી કરતી હોય છે. સમયસર નિર્ણય લેવામાં આવશે અને સમયસર જાહેરાત કરાશે. આશાબેનની ટિકિટ કપાવા અંગે કોઈ ચર્ચા થઈ નથી."

નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે, હાલ તો પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ 30 તારીખે ગાંધીનગર ખાતે જે ફોર્મ ભરવાના છે તેના અંગે પાર્ટીમાં ચર્ચા ચાલી રહી છે.

તેમના લોકસભા ચૂંટણી લડવા અંગેના સવાલના જવાબમાં નીતિન પટેલે જણાવ્યું કે, " મને કોઈ મનાવાનો પ્રશ્ન આવતો નથી, અમે બધાને મનાવીએ છીએ અને બધાને સાથે રાખીને ચાલીએ છીએ."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news