વડોદરાવાસીઓ સાચવી લેજો! મોરબી જેવી દુર્ઘટના થશે તો જવાબદાર કોઈ નથી, આ 12 બ્રિજ છે ક્ષતિગ્રસ્ત

એકબીજાના ટાંટિયા ખેંચમાં ભાજપ નેતાઓ હવે રાજ્ય સરકારની સૂચનાનું પણ પાલન કરી રહ્યા નથી. વડોદરાના 12 બ્રિજ પર નાની મોટી ક્ષતિઓ હોવા છતાં તેને રિપેરીંગ કરવાની દરખાસ્ત સ્થાયી સમિતિએ મુલતવી કરી દેતાં નાગરિકોની સુરક્ષા જોખમાઈ છે. 

વડોદરાવાસીઓ સાચવી લેજો! મોરબી જેવી દુર્ઘટના થશે તો જવાબદાર કોઈ નથી, આ 12 બ્રિજ છે ક્ષતિગ્રસ્ત

રવિ અગ્રવાલ/વડોદરા: વડોદરા ભાજપમાં આંતરિક જૂથબંધીના કારણે હવે નાગરિકોની સુરક્ષા પણ જોખમમાં મૂકાઈ રહી છે. એકબીજાના ટાંટિયા ખેંચમાં ભાજપ નેતાઓ હવે રાજ્ય સરકારની સૂચનાનું પણ પાલન કરી રહ્યા નથી. વડોદરાના 12 બ્રિજ પર નાની મોટી ક્ષતિઓ હોવા છતાં તેને રિપેરીંગ કરવાની દરખાસ્ત સ્થાયી સમિતિએ મુલતવી કરી દેતાં નાગરિકોની સુરક્ષા જોખમાઈ છે. 

મોરબી બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય સરકારે રાજ્યના તમામ બ્રિજનું ઈન્સ્પેક્શન કરાવી રિપોર્ટ તૈયાર કરવા દરેક નગરપાલિકા, મહાનગરપાલિકા સહિત પંચાયતોને સૂચના આપી હતી. જેના આધારે વડોદરા કોર્પોરેશને કાસડ નામના કન્સલ્ટન્ટને બ્રિજના ઈન્સ્પેક્શનની કામગીરી સોંપી હતી. ઈન્સ્પેક્શન બાદ કન્સલ્ટન્ટે શહેરના 12 બ્રિજમાં નાની મોટી ક્ષતિઓ હોવાનો રિપોર્ટ કોર્પોરેશનને આપ્યો હતો. જેમાં તાત્કાલિક રિપેરીંગ કામ કરવાનું સૂચન કર્યું. જેના આધારે પાલિકાના અધિકારીએ 31.32 કરોડના ખર્ચે 18 ટકા વધુના ભાવે દરખાસ્ત તૈયાર કરી સ્થાયી સમિતિમાં મોકલી. જે દરખાસ્ત પર સ્થાયી સમિતિમાં ચર્ચા થઈ, જેમાં આંતરિક જૂથબંધીના કારણે 3 સભ્યો બંદીશ શાહ, જાગૃતિ કાકા અને હેમીષા ઠક્કરે દરખાસ્તનો વિરોધ કરી મુલતવી કરાવી દીધી. ભાવ વધુ હોવાથી વધુ અભ્યાસ અર્થે દરખાસ્ત મુલતવી કરતાં હવે વિવાદ થયો છે. 

વડોદરાના જે 12 બ્રિજોમાં ક્ષતિ આવી તેના વિશે વાત કરીએ તો પંડ્યા, કલાલી, જેતલપુર, ફતેગંજ, અમિતનગર, જીએસએફસી છાણી, વિશ્વામિત્રી, સોમા તળાવ બ્રિજોમાં નાની મોટી ક્ષતિઓ આવી છે. જેમાં બ્રિજોમાં ડેડ લોડ વધુ આવ્યો, બ્રિજનું વિયરીંગ કોટ ખરાબ થઈ ગયું તેમજ બ્રિજ પર માસ્કિટની જરૂર હોવાનું સામે આવ્યું. સ્થાયી સમિતિના 3 સભ્યો બંદીશ શાહ, હેમિષા ઠક્કર અને જાગૃતિ કાકાએ ભાવ વધુ હોવાનું કહી વિરોધ કર્યો, પણ આજ સભ્યોએ ડિસેમ્બર 2023મા બ્રિજ પર રી-સરફેસિંગ કરવાના કામની 3 કરોડની નાણાંકીય મર્યાદાની દરખાસ્ત 27.21 ટકા વધુના ભાવે મંજુર કરી હતી. નાણાંકિય મર્યાદા પૂર્ણ થતાં તેમજ અન્ય ક્ષતિઓ દૂર કરવાની કામગીરી કરવાની હોવાથી કોર્પોરેશને નવી દરખાસ્ત 18 ટકાના વધૂના ભાવે સ્થાયી સમિતિમાં મોકલી. 9 ટકા ભાવ વધારો ઓછો હોવા છતાં હવે આજ સભ્યોએ વિરોધ કર્યો.

કોર્પોરેશનના સિટી એન્જિનિયર અલ્પેશ મજમુંદારે કહ્યું કે અમને કન્સલ્ટન્ટે રિપોર્ટ આપ્યો છે. જેમાં બ્રિજમાં ક્ષતિઓ હોવાનું સામે આવ્યું છે. બ્રિજની સ્ટેબિલિટી જળવાઈ રહે અને આયુષ્ય વધે તે માટે રિપેરીંગ કરવાની જરૂર છે. હાલમાં સ્થાયી સમિતિમાં દરખાસ્ત મંજૂરી માટે મોકલી છે. પાલિકાના વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે કહ્યું કે બ્રિજમાં નાની મોટી ક્ષતિઓ સામે આવી હોય તો તુરંત રિપેરીંગ કામ કરાવવું જોઈએ. શાસકોએ અંગતહિતો બાજું પર મૂકી કામ કરવું જોઈએ. સમગ્ર મામલે વડોદરાના નાગરિક વિજય જાધવે કહ્યું કે સ્થાયીના સભ્યો પ્રજાની સુરક્ષા બાબતના કામનો કેમ વિરોધ કરી રહ્યા છે તે સમજાતું નથી. શું સભ્યોને કટકી કરવી છે? સભ્યોએ આંતરિક જુથબંધી ભૂલી પ્રજાહિતમાં કામ કરવું જોઈએ. 

મહત્વની વાત છે કે સ્થાયી સમિતિના સભ્યોમાં અંદરોઅંદર ભારે વિખવાદ છે. આ વિખવાદના કારણે પ્રજાના વિકાસના કામો ઉપરાંત નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત થાય તેવા કામો નથી થઈ રહ્યા. અમુક સભ્યો પોતાનું હિત સિધ્ધ કરવા શહેરનું નુકશાન કરી રહ્યા છે, ત્યારે જો વડોદરામાં મોરબી બ્રિજ જેવી દુર્ઘટના સર્જાશે તો તેના માટે જવાબદાર કોણ તે સવાલ ઉઠવા પામી રહ્યો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news