PM Modi એ સ્વાસ્થ્યકર્મીઓ સાથે કર્યો સંવાદ, હિમાચલ પ્રદેશ વિશે કરી આ વાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી હિમાચલ પ્રદેશના સ્વાસ્થ્યકર્મીઓ અને કોવિડ રસીકરણ કાર્યક્રમના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો.

PM Modi એ સ્વાસ્થ્યકર્મીઓ સાથે કર્યો સંવાદ, હિમાચલ પ્રદેશ વિશે કરી આ વાત

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી હિમાચલ પ્રદેશના સ્વાસ્થ્યકર્મીઓ અને કોવિડ રસીકરણ કાર્યક્રમના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો. કોવિડ રસીકરણ પ્રોગ્રામની સફળતા પર પીએમ મોદીએ વાત કરી. 

પીએમ મોદીએ કહ્યું કે સમગ્ર ટીમે ખુબ કામ કર્યું છે. ખુબ ખુબ શુભકામનાઓ. સો વર્ષની સૌથી મોટી મહામારીમાં હિમાચલ ચેમ્પિયન બનીને સામે આવ્યું છે. સમગ્ર એલિજિબલ વસ્તીને પહેલો ડોઝ આપી દીધો છે અને એક તૃતિયાંશ વસ્તીને બીજો ડોઝ પણ મળી ગયો છે. ભારત આજે એક દિવસમાં સવા કરોડ ડોઝ આપીને રેકોર્ડ બનાવી રહ્યું છે. 

તેમણે વધુમાં કહ્યું કે હિમાચલ પ્રદેશે આજે એક પ્રધાનસેવકના નાતે જ નહીં પરંતુ એક પરિવારના સભ્યના નાતે પણ મને ગર્વનો અવસર આપ્યો છે. મે નાની નાની સુવિધાઓ માટે હિમાચલને સંઘર્ષ કરતા જોયું છે અને આજે વિકાસની ગાથા લખી રહેલા હિમાચલને પણ જોઈ રહ્યો છું. આ બધુ દેવી દેવતાઓના આશીર્વાદથી હિમાચલ સરકારની કર્મકુશળતાથી અને હિમાચલના લોકોની જાગૃતતાથી સંભવ થઈ શક્યું છે. 

પ્રધાનમંત્રીએ કહ્યું કે જેટલા રસીના ડોઝ હાલ એક દિવસમાં લાગી રહ્યા છે તે તો અનેક દેશોની આખી વસ્તી કરતા પણ વધુ છે. ભારતના રસીકરણ અભિયાનની સફળતા, પ્રત્યેક ભારતવાસીના પરિશ્રમ અને પરાક્રમની પરાકાષ્ઠાનું પરિણામ છે. મને ખુશી છે કે લાહોલ સ્પીતિ જેવા દુર્ગમ જિલ્લામાં પણ હિમાચલ પ્રદેશ સો ટકા પહેલો ડોઝ આપવામાં અગ્રણી રહ્યું છે. આ એ વિસ્તાર છે જે અટલ ટનલ બની તે પહેલા મહિનાઓ સુધી દેશના બાકીના વિસ્તારોથી કપાયેલો રહેતો હતો. 

પીએમ મોદીએ કહ્યું કે હિમાચલવાસીઓએ કોઈ પણ પ્રકારની અફવાને, કોઈ પણ દુષ્પ્રચારને ટકવા દીધો નહીં. હિમાચલ એ વાતનું પ્રમાણ છે કે દેશનો ગ્રામીણ સમાજ કઈ રીતે દુનિયાના સૌથી મોટા અને સૌથી ઝડપી રસીકરણ અભિયાનને સશક્ત કરી રહ્યો છે. સશક્ત થતી કનેક્ટિવિટીનો સીધો લાભ પર્યટકોને પણ મળી રહ્યો છે. ફળ શાકભાજીનું ઉત્પાદન કરનારા ખેડૂતોને પણ મળી રહ્યો છે. 

તેમણે વધુમાં કહ્યું કે ગામડે ગામડે ઈન્ટરનેટ પહોંચવાથી હિમાચલની યુવા પ્રતિભાઓ ત્યાંની સંસ્કૃતિને, પર્યટનની નવી સંભાવનાઓને દેશ વિદેશ સુધી પહોંચાડી શકે છે. હાલમાં દેશે વધુ એક નિર્ણય લીધો. જે હું ખાસ કરીને હિમાચલના લોકોને જણાવવા માંગુ છું. 

પ્રધાનમંત્રીએ કહ્યું કે ડ્રોન ટેક્નોલોજી સંબંધિત નિયમોમાં ફેરફાર થયો છે. હવે આ નિયમ ખુબ સરળ બનાવવામાં આવ્યો છે. જેનાથી હિમાચલમાં હેલ્થથી લઈને કૃષિ જેવા અનેક સેક્ટરમાં નવી સંભાવનાઓ જોવા મળશે. કેન્દ્ર સરકાર હવે બહેનોના સ્વયં સહાયતા સમૂહો માટે વિશેષ ઓનલાઈન પ્લેટફોર્મ બનાવવાની છે. આ માધ્યમથી આપણી બહેનો, દેશ અને દુનિયામાં પોતાના ઉત્પાદનો વેચી શકશે. સફરજન, સંતરા, મશરૂમ, અને ટામેટા જેવા અનેક ઉત્પાદનોને હિમાચલની બહેનો દેશના ખૂણે ખૂણે પહોંચાડી શકશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news