છાતીમાં 2 ગોળી અને એક પગમાં... ફટાકડાના શોરગૂલ વચ્ચે 9.9 MM ની પિસ્તોલથી આ રીતે થઈ બાબા સિદ્દીકીની હત્યા

Baba Siddique Shot Dead : અજિત પવાર જૂથના NCPના નેતા બાબા સિદ્દીકીની હત્યા. મુંબઈના બાંદ્રા વિસ્તારમાં અજાણ્યા શખ્સોએ ગોળી મારીને કરી હત્યા. હુમલાખોરોએ બાબા સિદ્દીકી પર 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું. બાબા સિદ્દીકીની સારવાર માટે મુંબઈની લીલાવતી હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસે 2 શંકાસ્પદ આરોપીઓની કરી અટકાયત. પકડાયેલા બંને આરોપીઓ શાર્પશૂટર હોવાની આશંકા 

છાતીમાં 2 ગોળી અને એક પગમાં... ફટાકડાના શોરગૂલ વચ્ચે 9.9 MM ની પિસ્તોલથી આ રીતે થઈ બાબા સિદ્દીકીની હત્યા

NCP Leader Baba Siddique Shot Dead in Mumbai : મુંબઈમાં NCP નેતા બાબા સિદ્દીકીની હત્યાથી ખળભળાટ મચ્યો છે. શનિવાર મોડીરાત્રે બાંદ્રા ઈસ્ટમાં 3 શૂટરોએ ફાયરિંગ કરીને તેમની હત્યા કરી દીધી છે. બાબા સિદ્દીકીનું પુરુ નામ જિયાઉદ્દીન સિદ્દીકી છે. અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકી રાત્રે પોતાના દીકરા જીશાન સિદ્દીકીની ઓફિસ પર પહોંચ્યા હતા. તે જ સમયે કારમાં આવેલા 3 શૂટરોએ તેમના પર ધડાધડ ફાયરિંગ શરૂ કરી દીધુ હતુ. તેમાં બાબા સિદ્દીકીની છાતીમાં 2 ગોળી અને એક ગોળી પગમાં વાગી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા બાબા સિદ્દીકીને તાત્કાલિક લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં ટુંકી સારવાર ડોક્ટરોએ બાબા સિદ્દીકીની મૃત ઘોષિત કર્યા હતા. ડૉક્ટરોએ જણાવ્યું કે હુમલાખોરોએ ખૂબ જ નજીકથી સિદ્દીકી પર હુમલો કર્યો હતો. જેથી તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે તેમને હોસ્પિટલ લવાયા ત્યારે હૃદયના ધબકારા પણ બંધ હતા. ડૉક્ટરોએ NCP નેતા બાબા સિદ્દીકીને બચાવવા પ્રયાસ કર્યા પરંતુ તેમને બચાવી શક્યા ન હતા. NCP નેતા બાબા સિદ્દીકી પર હુમલો અને તેમની મોતના સમાચાર વાયુવેગે પ્રશરતા મુખ્યમંત્રી એકનાથ શિંદે, ગૃહ રાજ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ હોસ્પિટલ પહોંચ્યા હતા. તો સાથે જ સલમાન ખાન, સંજય દત્ત, શિલ્પા શેટ્ટી સહિત રાજ કુંદ્રા પણ સિદ્દીકીના પરિવારને મળવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા.

NCP નેતા બાબા સિદ્દીકીની મુંબઈના બાંદ્રામાં જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગઈ કાલે રાત્રે 9:15 થી 9:20 વાગ્યાની વચ્ચે બાબા સિદ્દીકી તેમના પુત્રની ઑફિસથી નીકળ્યા હતા. ફટાકડાના જોરદાર અવાજ વચ્ચે ત્રણ લોકોએ તેમના પર ગોળીબાર કર્યો હતો. ત્રણેય બદમાશોએ પોતાના મોઢા રૂમાલથી ઢાંકેલા હતા.

આરોપીઓએ પ્લાનિંગ સાથે ગુનો આચર્યો હતો
વિદ્યાદશમીની સાંજે ત્રણેય આરોપીઓ બાબા સિદ્દીકીની રાહ જોતા પૂરા પ્લાનિંગ સાથે ફટાકડા ફોડી રહ્યા હતા. બાબા સિદ્દીકી ઓફિસમાંથી બહાર આવ્યા કે તરત જ આરોપીએ યોગ્ય તક જોઈને તેમના પર 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેમાં ત્રણ ગોળી બાબા સિદ્દીકીને લાગી. ગોળી વાગી કે તરત જ બાબા સિદ્દીકી જમીન પર પડી ગયા. આ પછી તેને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો.

કોણ હતા બાબા સિદ્દીકી?

  1. આખુ નામ બાબા જિયાઉદ્દીન સિદ્દીકી હતું
  2. મૂળ બિહારના ગોપાલગંજના રહેવાસી હતા
  3. આજે વર્ષે અજિત પવારની NCPમાં સામેલ થયા હતા
  4. છેલ્લા 48 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા
  5. મહારાષ્ટ્રમાં કોંગ્રેસના કદ્દાવર નેતાઓમાં ગણતરી
  6. બાંદ્રા પશ્ચિમથી ત્રણ વખત ધારાસભ્યા રહ્યા
  7. મહારાષ્ટ્ર સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી રહ્યા
  8. મહારાષ્ટ્ર હાઉસિંગ ઓથોરિટીના અધ્યક્ષ રહ્યા
  9. રાજકારણની શરૂઆત વિદ્યાર્થી નેતા તરીકે કરી હતી
  10. પહેલી વખત મુંબઈમાં કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા
  11. બોલિવુડ કનેક્શનને કારણે વધારે જાણિતા હતા
  12. દર વર્ષે રમઝાન પર મોટી ઈફ્તાર પાર્ટી કરતા હતા
  13. સિદ્દીકીની પાર્ટીમાં અનેક અભિનેતા સામેલ થતાં હતા
  14. સલમાન, શાહરૂખ બનતા હતા ખાસ મહેમાન
  15. સલમાન-શાહરૂખની દુશ્મની કરાવી હતી ખતમ

બોલિવુડ સાથે બાબા સિદ્દીકીનું ખાસ કનેક્શન
NCP નેતા બાબા સિદ્દીકીનું બોલીવુડ સાથે ખાસ કનેક્શન હતું. તેમાં પણ બોલીવુડના ભાઈજાન સલમાન ખાન સાથે તેમના ખુબ સારા સંબંધ હતા. પશ્ચિમી બાંદ્રાના ધારાસભ્ય હોવાથી અનેક બોલીવુડ સિતારાઓ સાથે તેમની ઓળખાણ હતી. જ્યારે પણ બાબા સિદ્દીકીના ઘરે ઈફ્તાર પાર્ટી હોય ત્યારે સલમાન ખાન ઉપરાંત શાહરૂખ ખાન, આમિર ખાન, સંજય દત્ત સહિતના અનેક બોલીવુડ અભિનેતાઓ તેમના ઘરે હાજરી આપતા હતા. સલમાન ખાન અને શાહરૂખ ખાન  વચ્ચે દુશ્મનની ચાલતી હતી ત્યારે બંને અભિનેતાઓ વચ્ચે બાબા સિદ્દીકીએ જ સમાધાન કરાવ્યું હતુ. આ ઉપરાંત જ્યારે પણ બોલીવુડ જગતના કોઈપણ વ્યક્તિને કોઈ રાજકીય કામ હોય તો તેઓ સૌથી પહેલાં તેઓ બાબા સિદ્દીકીનો જ સંપર્ક કરતા હતા. ત્યારે NCP નેતા બાબા સિદ્દીકીના સમાચારને લઈને બોલીવુડ જગત શોક ફેલાયો છે. બાબા સિદ્દીકીના મોતની ખબર જેવી બહાર આવી કે સલમાન ખાને બીગ બોસનું શુટિંગ અટકાવી દીધુ હતુ. અને તાત્કાતિક લીલાવતી હોસ્પિટલ પહોંચ્યા હતા. આ ઉપરાંત સંજય દત્ત, શિલ્પા શેટ્ટી, રાજ કુંદ્રા સહિતના અનેક લોકો સિદ્દીકી પરિવારને મળવા માટે મોડીરાત્રે જ લીલાવતી હોસ્પિટલ પહોંચ્યા હતા.  

હત્યાથી વિપક્ષના સરકાર પર પ્રહાર
NCP નેતા બાબા સિદ્દીકીની હત્યાથી મહારાષ્ટ્રમાં કાયદાની સ્થિતિ કથળી હોવાનો વિપક્ષે દાવો કર્યો. રાહુલ ગાંધીએ એક્સ પર હત્યા પર દુખ વ્યક્ત કરતા કહ્યું કે, મારી સંવેદનાઓ સિદ્દીકીના પરિવાર સાથે છે. મહારાષ્ટ્રમાં કાયદો-વ્યવસ્થાનું પતન થઈ ગયું છે. તો શરદ પવારે કહ્યું કે, રાજ્યમાં આ સ્થિતિ ચિંતાજનક છે. અનિલ દેશમુખે કહ્યું, 'Y કેટેગરીની સુરક્ષા છતાં હત્યા? આમ, વિપક્ષના નેતાઓ શિંદે સરકાર પર આકરા પાણીએ તેવર બતાવ્યા. 

બિશ્નોઈ ગેંગનો હાથ હોવાની શંકા 
NCP નેતા બાબા સિદ્દીકીની હત્યામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગની એન્ટ્રી થઈ છે. બાબા સિદ્દીકીની હત્યા કરનારા ત્રણેય શૂટર લોરેન્સ બિશ્નોઈ ગેંગના હોવાની ચર્ચા છે. હત્યા કરનાર એક શૂટર કરનેલસિંહ હરિયાણાનો વતની છે, જ્યારે બીજો શૂટર ધર્મરાજ કશ્યમ યુપીનો વતની છે. જ્યારે એક શૂટર ફરાર છે. પકડાયેલા શૂટરોએ પોલીસ પૂછપરછમાં દાવો કર્યો છે કે તેઓ લોરેન્સ બિશ્નોઈ ગેંગના છે. પરંતુ હજુ સુધી પોલીસ દ્વારા આધિકારીક પુષ્ટી કરવામાં આવી નથી. 

મહત્વનું છે કે બાબા સિદ્દીકી સલમાન ખાનના સૌથી નજીક હતા. અને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સલમાન ખાનને પોતાનો સૌથી મોટો દુશ્મન માને છે. રાજસ્થાનનો બિશ્નોઈ સમાજ કાળિયારની પૂજા કરે છે. તો કાળિયાર શિકાર કેસમાં સલમાન ખાન આરોપી છે. જેથી પોતાના પૂજનીય એવા કાળિયારનો શિકાર કર્યો હોવાથી લોરેન્સ બિશ્નોઈની સલમાન ખાન સાથે દુશ્મની છે. લોરેન્સ બિશ્નોઈ દ્વારા અનેક વખત સલમાન ખાનને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપવામાં આવી છે. એટલું જ નહીં થોડા સમય પહેલાં સલમાન ખાનના ઘર ઉપર પણ ફાયરિંગ કરાયું હતુ. ત્યારે NCP નેતા બાબા સિદ્દીકી અને સલમાન ખાનના નજીકના સંબંધોને લઈને લોરેન્સ બિશ્નોઈએ જ હત્યા કરાવી હોવાની ચર્ચા છે. મહત્વનું છે કે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ હાલ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news