ગુજરાતનો સૌથી મોંઘો ગરબો, કરોડોના સોનાના આભૂષણો પહેરીને આહિર સમાજની દીકરીઓ ગરબે ઘૂમી

Ahir Samaj Garba With Gold Jewellery : કચ્છમાં આહીર સમાજની દીકરીઓ 200 વર્ષ જૂની પરંપરા જાળવી ગરબે ઘૂમી હતી. તેઓ વજનદાર અને મોંઘાદાટ સોનાના દાગીના પહેરીને પરંપરાગત પોષકમાં ગરબા કર્યા
 

ગુજરાતનો સૌથી મોંઘો ગરબો, કરોડોના સોનાના આભૂષણો પહેરીને આહિર સમાજની દીકરીઓ ગરબે ઘૂમી

Navratri 2024 રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : હાલમાં નવરાત્રીના નવલા નોરતા ચાલી રહ્યા છે અને ગરબા રસિકો મન મૂકીને ગરબે ઘૂમી રહ્યાં છે. ત્યારે કચ્છમાં વર્ષોથી આહિર સમાજ દ્વારા ગામડાઓમાં ગરબા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે અને નવરાત્રિ દરમિયાન આહિર સમાજના ભાઈઓ દ્વારા ટ્રેડિશનલ પહેરવેશ પહેરીને આહિર રાસ રમવા આવે છે, તો બહેનો પણ મોંઘા અને વજનદાર સોનાના દાગીના પહેરી પરંપરાગત પોશાકમાં રાસડા રમે છે.

આહિર ભગવાન શ્રી કૃષ્ણના વંશજ કહેવાય છે 
યદુવંશી આહિર સમુદાયનો અતિ પ્રાચીન અને ભવ્ય ઇતિહાસ રહેલો છે. તો શ્રીમદ ભગવત ગીતા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણનું પાલન પોષણ આહિરોને ત્યાં થયું હતું. આહિર ભગવાન શ્રી કૃષ્ણના વંશજ તરીખે ઓળખાય છે. આહિર સમાજની પણ એક અલગ ઓળખ છે. તેમજ આહિર સમાજમાં માન, મર્યાદા, બલિદાન અને મોભો તો સંકળાયેલું જ છે. પરંતુ હવે આજના આ આધુનિક યુગમાં યુવા પેઢીએ સમાજની પરંપરાને જાળવી રાખી છે.

200 વર્ષ જૂની પરંપરા આજે પણ અકબંધ
આહિર સમુદાયનો પરંપરાગત ભાતીગળ પહેરવેશ અને સાંસ્કૃતિક વારસો પણ રહેલો છે. ત્યારે આજે પણ 150થી 200 વર્ષ જૂની પરંપરામાં મુજબ આહિર સમાજની મહિલાઓ પરંપરાગત વસ્ત્રો અને આભૂષણો સાથે નવરાત્રિમાં રાસડા લે છે. સમાજની નાની નાની દીકરીઓ પણ મોંઘાદાટ સોનાના દાગીના પહેરીને ગરબે ઘૂમે છે. 

પહેરવેશ એ આહિર સમાજની ઓળખ
આહીર સમાજની મહિલાઓના પહેરવેશને નવખંડી તરીકે ઓળખવામાં આવે છે. આહીર સમાજમાં આ પોશાકને પરંપરાગત પોશાક માનવામાં આવે છે. તેમજ વર્ષો જૂની પરંપરા મુજબ આહીર સમાજની મહિલાઓ ઘર-પરિવાર કે જ્ઞાતિમાં આયોજિત થતા શુભ, ધાર્મિક, સામાજિક, લગ્ન અને મહારાસ જેવા પ્રસંગમાં આ પહેરવેશ અને સોનાના આભૂષણો પહેરે છે. આહિર સમાજની મહિલાઓ તેના પોશાકથી પણ ઓળખાતી હોય છે. 

ભૂજમાં 100 વર્ષથી રાસડા લેવાની પરંપરા 
આહિર ગામડાઓની વાત કરવામાં આવે તો ગરબામાં આજે પણ ગામડાઓમાં ભારતીય સંસ્કૃતિનુ જતન મુજબ જુના રીતરિવાજ મુજબ ગીતો ગવાય છે અને રાસ પણ રમાય છે. ભુજ તાલુકાના મમુઆરા ગામમા આજે પણ ભાઈઓ અને બહેનોના રાસ ગરબા ભારતીય સંસ્કૃતિ મુજબ માતાજીની આરાધના કરીને નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. છેલ્લા 100 વર્ષથી અહીંયા રાસડા લેવામાં આવે છે. અહીં પૂજા અર્ચના કરે છે અને આહિર સમાજની આ પરંપરા મુજબ દર વર્ષે અહીં સમાજના ભાઈઓ અને બહેનો પરંપરાગત વસ્ત્રો અને આભૂષણો સાથે માતાજીના ગરબા લે છે અને આરાધના કરતા હોય છે.

સ્થાનિક જાનકી આહિર જણાવે છે કે, આહિર સમાજની સદીઓ પુરાણી આ પરંપરા છે જેમાં સમાજની મહિલાઓ સમાજની પરંપરા મુજબ માતાજી જગદંબા સ્વરૂપે માનવામાં આવે છે અને સોળે શ્રૃંગાર તેઓ સજ્જે છે અને ટ્રેડિશનલ કપડાં અને મોટા મોટા ઘરેણાં પણ પહેરે છે. જે દેખાવે ખૂબ આકર્ષક હોય છે. મહિલાઓ મોટા મોટા આભૂષણો પહેરીને એક જ તાલે રાસડા લે છે

પરંપરા સાથે યુવા પેઢીને જોડવાનો પ્રયાસ 
મમુઆરા ગામના અગ્રણી સતિષભાઈ છાંગા એ જણાવ્યું હતું કે, 150થી 200 વર્ષ જૂના સમયથી વડીલો અને પૂર્વજો જે રીતે નવરાત્રીની ઉજવણી કરતા હતા તે જ રીતે ઉજવણી કરવામાં આવે છે. આહિર સમાજના ભાઈઓ અને બહેનો તેમના ટ્રેડિશનલ પરિવેશ સાથે રાસ સાથે ગરબે રમતા હોય છે. ભાઈઓ પણ એમના એક અલગ જ રાસ રમતા હોય છે. ફક્ત મનોરંજન માટે જ નહીં પરંતુ નવરાત્રિ માતાજીની આરાધના સાથે સાથે સમાજની યુવા પેઢી પણ તેમની પરંપરા સાથે સંકળાયેલા રહે તેવા પ્રયત્નો પણ કરવામાં આવે છે.તો સાથે જ નાના ભૂલકાઓ પણ પરંપરાગત વસ્ત્રો અને આભૂષણો સાથે રાસ રમતા હોય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news